ગુજરાતમાં ખાદ્યપદાર્થોમાં થઇ રહેલી ભેળસેળને અટકાવવા માટે સરકારે હવે મોબાઇલ વાનની વ્યવસ્થા કરી છે જે રાજ્યમાં ફરીને ખાદ્યપદાર્થોના નમૂનાનું ચેકીંગ કરશે. રાજ્યનો કોઇપણ વ્યક્તિ ભેળસેળની તપાસ વિનામૂલ્યે કરાવી શકશે અને જો વેપારી કસૂરવાર હશે તો તેની સામે પગલાં લેવાશે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર પુરસ્કૃત વધુ પાંચ મોબાઇલ ફુડ ટેસ્ટીંગ વાન આજે ગાંધીનગરથી ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં કોઇપણ વ્યક્તિ ટેસ્ટીંગ કરાવી શકશે.
ટેસ્ટીંગ દરમ્યાન જો નમૂનો ભેળસેળયુક્ત હશે તો સામેથી સેમ્પલ લઇને વેપારી કે ઉત્પાદક સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.
કેન્દ્ર સરકારના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઈન્ડિયા દ્વારા અગાઉ આવી ચાર વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. જેમાં અદ્યતન ટેક્નોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં આ વાનની અસરકારક કામગીરીના કારણે કેન્દ્ર સરકારે વધુ પાંચ વાન મોકલાવી છે.
આ મોબાઈલ વાન અધ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. આ સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકે તે માટે મિલ્ક ટેસ્ટિંગ મશીન દ્વારા ટેસ્ટિંગ કરી દૂધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનીયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેક્સ્ટ્રીન, યુરીયા જેવા કેમિકલ્સ શોધી શકાશે.
એ ઉપરાંત ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરાશે. ઉપરાંત પેકિંગમાં મળતાં પીવાનાં પાણીમાં ટી.ડી.એસ.ની માત્રા સહીત જ્યુસ, શરબતમાં ખાંડની માત્રાનું પ્રમાણ સહીતની તમામ ચકાસણી સ્થળ ઉપર જ કરાશે. નમુનો ભેળસેળ યુક્ત ઠરે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.
ફુડ સેફ્ટિ ઓફિસરને સ્માર્ટ જેકેટ પણ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટ જેકેટ ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદક તથા વેચાણ સ્થળોએ નિરીક્ષણ તથા નમૂનાઓ લેવાની કાર્યવાહીમાં પારદર્શકતા જળવાય તે ઉપરાંત તેમાં આરએફઆઇડી ટેગ, પોકેટ કેમેરા અને ક્યુ આર કોડની જોગવાઇ ભવિષ્યમાં હશે. તે ઉપરાંત સ્માર્ટ જેકેટ્માં નોટપેડ, સેમ્પલ કન્ટેઇનર્સ વિગેરે સાથે રાખી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.