– ઐયરે કહ્યું કે, સત્તામાં બેઠેલા લોકો માટે ફક્ત 80 ટકા લોકો જે હિંદુ ધર્મમાં માને છે તે જ સાચા ભારતીય
પોતાના વિવાદિતન નિવેદનો દ્વારા ચર્ચામાં રહેતા કોંગ્રેસી નેતા મણિશંકર ઐયર આગામી વર્ષે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એક વખત લાઈમ લાઈટમાં આવી ગયા છે.
આ વખતે કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરે મુઘલોની જોરદાર પ્રશંસા કરી હતી અને ભાજપ પર નિશાન તાક્યું છે. રવિવારે નેહરૂ જયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મણિશંકર ઐયરે મુઘલ શાસનમાં થયેલા અત્યાચારોની વાતો નકારી દીધી હતી અને એવો દાવો કર્યો હતો કે, મુઘલોએ કદી દેશમાં ધર્મના નામે અત્યાચાર નથી કર્યા. ઐયરે મુઘલ બાદશાહોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, સત્તામાં બેઠેલા લોકો માટે ફક્ત 80 ટકા લોકો જ સાચા ભારતીય છે.
મણિશંકર ઐયરે કહ્યું કે, મુઘલોએ આ દેશને પોતાનો બનાવ્યો. અંગ્રેજોએ કહ્યું કે, અમે તો અહીં રાજ કરવા આવ્યા છીએ. બાબરે માત્ર 4 વર્ષમાં હુમાયુને કહ્યું કે, જો તમે આ દેશને ચલાવવા માગો છો તો અહીંના નિવાસીઓના ધર્મમાં દખલ ન કરશો. તેમના દીકરા અકબરે આ દેશમાં 50 વર્ષ સુધી રાજ કર્યું. દિલ્હીમાં એક સડક છે જ્યાં કોંગ્રેસ કાર્યાલય છે, તે એકબર રોડ પર છે. અમને અકબર રોડ સામે કોઈ વાંધો નથી. અમે અકબરને અમારો સમજીએ છીએ અને અમે તેમને અજાણ્યા નહોતા માનતા. તેમના લગ્નો રાજપૂતો સાથે થતાં હતા. પરિણામ સ્વરૂપ જહાંગીર અડધો રાજપૂત હતો અને તેમનો દીકરો શાહજહાં 3/4 હિંદુ.
ઐયરે કહ્યું કે, 1872માં અંગ્રેજોએ પહેલી વસ્તી ગણતરી કરાવી જેમાં જાણવા મળ્યું કે, 666 વર્ષ સુધી રાજ્ય કર્યા બાદ ભારતમાં મુસલમાનોની વસ્તી આશરે 24 ટકા હતી અને હિંદુઓની 72 ટકા હતી. પરંતુ આ લોકો કહે છે કે, મારપીટ થઈ, બધી દીકરીઓ સાથે બળાત્કાર થયા અને બધાને મુસલમાન બનાવી દીધા. અરે જો મુસલમાન બનતા તો આંકડા અલગ હોવા જોઈતા હતા. 72 ટકા મુસલમાન હોવા જોઈએ અને 24 ટકા હિંદુ હોવા જોઈએ. પરંતુ સત્ય એ હતું કે આટલાં જ હતા. આ કારણે જ ભાગલા પહેલા જિન્નાજીની એક માગણી હતી કે, સેન્ટ્રલ અસેમ્બલીમાં અમને 30 ટકા અનામત આપો. તેમણે બસ એટલું જ માગ્યું પરંતુ તેમને ના પાડવામાં આવી કારણ કે, તેમની સંખ્યા 26 ટકા જ હતી.
વધુમાં ઐયરે કહ્યું કે, રાહુલજીએ તાજેતરમાં એમ કહ્યું કે, હિંદુ ધર્મ અને હિન્દુત્વમાં તફાવત છે. હું તેના સાથે જોડવા માગું છું કે, તફાવત એ છે કે, આપણે જે હિંદુ ધર્મ પર વિશ્વાસ કરીએ છીએ. આપણે 100 ટકા ભારતીય છીએ. આપણે બધા જે આ દેશના રહેવાસી છીએ તે તેમને ભારતીય સમજીએ છીએ અને જે કેટલાક લોકો આજે આપણા વચ્ચે સત્તામાં છે તેમના કહેવા પ્રમાણે 80 ટકા ભારતીય જે હિંદુ ધર્મમાં માને છે તે અસલી ભારતીય છે.