fbpx
Saturday, April 20, 2024

જાણો ‘શાંતિલાલ’થી ‘પ્રમુખસ્વામી’ સુધીની સફર

એક બાળક સમાન નિર્દોષ હાસ્ય.
નેહ નીતરતી આંખો.
લોક કલ્યાણની કામના સાથે આશિષ દેતા હાથ.
પ્રમુખસ્વામી મહારાજનું નામ બોલતાં જ તેમનો કંઈ આવો જ ભાવવાહી ચહેરો ભક્તોની સામે આવી જતો હોય છે. વાસ્તવમાં તો અહંશૂન્યતા સાથેનું પ્રમુખ સ્વામી મહારાજનું આ વ્યક્તિત્વ જ લાખો લોકોને જનકલ્યાણ માટે પ્રેરતું રહ્યું છે. પ્રમુખસ્વામીજી સદેહે ભલે આજે હયાત ન હોય, પણ તેમના કાર્યોમાંથી પ્રસરી રહેલી સુંવાસ આજે પણ લાખો લોકોને પ્રેરણા આપી રહી છે. આજે પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મજયંતી છે. ત્યારે આવો, તેમના મૃદુ સ્વભાવ અને મક્કમ મનોબળનો પરિચય મેળવીએ. અને જાણીએ કે તે કેવી રીતે ‘શાંતિલાલ’માંથી બન્યા ‘પ્રમુખસ્વામી’ મહારાજ ?

પ્રમુખસ્વામી મહારાજનો જન્મ સંવત 1978ની માગશર સુદ આઠમ એટલે કે વર્ષ 1921ની 7 ડિસેમ્બર, બુધવારના રોજ થયો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે જે ઘરમાં પ્રમુખસ્વામીજીનો જન્મ થયો હતો, તે ઘર આજે પણ હયાત છે. ચાણસદમાં જ સ્વામીશ્રીનું બાળપણ વિત્યું હતું. અને તેમનું જન્મ સમયનું નામ રખાયું હતું શાંતિલાલ.

કહે છે કે બાળ શાંતિલાલ ખૂબ જ શાંત સ્વભાવના અને મિતભાષી હતા. શાંતિલાલના પિતા મોતીલાલભાઈ અને માતા દિવાળીબેન પહેલેથી જ ભક્તિ માર્ગે વળેલા. તેઓ પ્રભુ સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક અનુગામી શાસ્ત્રીજી મહારાજના પરમ ભક્ત હતા અને સત્સંગમાં ભાગ લેતાં. સત્સંગના આ જ સંસ્કાર બાળ શાંતિલાલમાં પણ સિંચાયા. શાંતિલાલને બાળપણથી જ ધર્મમાં ઉંડો રસ હતો. તેમને હંમેશા એવું જ થતું કે, “મારે મોટા થઈને હિમાલયમાં જવું છે, મારે તપસ્વી બનવું છે.” પણ, તે સમયે તેમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેમની નિયતી તો તેમની પાસે એ કાર્ય કરાવવાની છે કે જે મોટા મોટા તપસ્વીઓને પણ દુર્લભ હોય.

સતત સાધુત્વ સ્વીકારવાના વિચાર કરતા શાંતિલાલજીને એક દિવસ અચાનક જ શાસ્ત્રીજી મહારાજનો પત્ર મળ્યો કે, “સાધુ થવા આવી જાવ !” અને પછી માત્ર 18 વર્ષની ઉંમરે માતા-પિતાના આશીર્વાદ લઈ, બધું જ છોડીને શાંતિલાલ નીકળી પડ્યા લોકકલ્યાણના માર્ગે. તા- 22/11/1939ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને અમદાવાદમાં પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. અને તેમનું નામ રાખ્યું ‘શાંતિ ભગત’. તા-10/01/1940ના રોજ શાસ્ત્રીજી મહારાજે ગોંડલ અક્ષરદેરીમાં શાંતિ ભગતને ‘ભાગવતી’ દીક્ષા આપી. ભાગવતી દીક્ષા બાદ શાંતિ ભગતને નવું નામ અપાયું ‘નારાયણસ્વરૂપદાસ’ !

તપ, ત્યાગ અને સંયમ જેવાં ગુણો તેમનામાં પહેલેથી જ વિદ્યમાન હતા. જેની મદદથી અને ગુરુ આજ્ઞાથી નારાયણસ્વરૂપદાસ નિરંતર લોકોની સેવા કરતાં જ રહ્યા. લોકસેવા જ જાણે તેમનો જીવનમંત્ર હતો. ગુરુ શાસ્ત્રીજી મહારાજે નારાયણસ્વરૂપદાસજીની ધર્મનિષ્ઠા જોઈ. અને તા- 21/05/1950ના રોજ તેમને બોચાસણવાસી શ્રીઅક્ષર પુરુષોત્તમ સ્વામિનારયણ સંસ્થા એટલે કે BAPSનું પ્રમુખ પદ સોંપ્યું. નારાયણસ્વરૂપદાસ માત્ર 28 વર્ષની ઉંમરે BAPSના પ્રમુખ બન્યા.

નારાયણસ્વરૂપદાસજીનું સૂત્ર હતું કે, “બીજાના ભલામાં આપણું ભલું !” અને “બીજાના સુખમાં આપણું સુખ !” લોકકલ્યાણાર્થે પ્રમુખસ્વામી મહારાજે સ્વયંની કાયાને ચંદન કરી નાંખી. ચંદન જેમ પોતે ઘસાઈને લોકોને સુગંધ અને શાતા આપે છે, તે જ રીતે તેમણે જાત ઘસીને લોકોની સેવા કરી. તેમના કાર્યોને લીધે નારાયણસ્વરૂપદાસજી સૌના લાડીલા મહારાજ બની ગયા. અને લોકો જ તેમને ‘પ્રમુખસ્વામી’ના હુલામણા નામે વધાવવા લાગ્યા.

પ્રમુખસ્વામીજીના BAPSનું પ્રમુખ પદ સંભાળ્યાના એક જ વર્ષ બાદ શાસ્ત્રીજી મહારાજે દેહત્યાગ કરી દીધો. ત્યારબાદ યોગીજી મહારાજની છત્રછાયા હેઠળ પ્રમુખસ્વામીજીએ સેવાકાર્યોને આગળ ધપાવ્યા. મંદિરો બંધાવ્યા. અને BAPSનો વિકાસ કર્યો. વર્ષ 1971માં યોગીજી મહારાજે પણ દેહત્યાગ કર્યો. કહેવાય છે કે યોગીજી મહારાજના દેહત્યાગ પૂર્વે જ્યારે એક ભક્તે તેમને પૂછ્યું, કે “તમારી ગેરહાજરીમાં અમારું શું થશે ?” ત્યારે યોગીજી મહારાજે કહ્યું હતું કે, “હવે, પ્રમુખસ્વામી સામે જુઓ. તેઓ તમને મારા કરતાં પણ વધુ ખુશીઓ આપશે. પ્રમુખસ્વામી જ મારું બધું છે.”

યોગીજી મહારાજના દેહત્યાગ બાદ તેમની અને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રમુખસ્વામી મહારાજ ગુરુ પદે આવ્યા. અને સંપ્રદાયના આધ્યાત્મિક વડા તરીકે તેના વિકાસનો પથ પ્રબળ બનાવ્યો. પ્રમુખસ્વામી મહારાજે વાવેલું તે લોકકલ્યાણનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની લાખો લોકોને છાંયો આપી રહ્યું છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles