– જય જય શિવ શંકર કાંટા લગે ન કંકર…આશીર્વાદમાં વિવાદ ન જ હોઈ શકે
– કામનો આરંભ જે ઉમળકાથી થાય તે જ ઉત્સાહથી તે કાર્યની પૂર્ણાહુતિ થવી જોઈએ
આરંભે શૂરા.
એવી કહેવત છે.
સાચી જ હશે ! કેમકે નવું કામ શરૂ કરવાનું હોય ત્યારે દોડી દોડીને બધાં કામ કરે છે. શુભ કાર્યમાં તો ઉત્સાહનો પાર નથી હોતો. ઉત્સાહ ઉત્તેજનામાં ફેરવાઈ જાય છે.
અને કામ પત્યા પછી ?
કેવી દશા થાય તે માટે ભોજન સમારંભ પછીનું પર્યાવરણ જોવું.
સીતા સ્વયંવરમાં પણ એવું જ થયું. બધાં ઇચ્છુકો પોતપોતાના વારાની રાહ જોતા રહ્યા. રામે શિવધનુષ તોડયું. બીજાં બધાં ઉમેદવારોએ પોતપોતાનું કપાળ ફોડયું.
સ્વયંવરનું પરિણામ એક જ હોય છે. કોઈ એક જ પરાક્રમી સુવર્ણ સુંદરી પામી શકે છે બાકીના બીજાં બધાં…હતાશ નિરાશ નાસીપાસ ! વિદાય થાય છે તો વેરથી, વલોપાતથી, ઝનૂનથી!
વિજેતા એકલવીરને માટે તેમના મનમાં રોષ દ્વેષ યુદ્ધની જ લાગણી હોય છે. એક જ વિજયથી ક્ષણમાં વિજેતા તમામનો શત્રુ બની રહે છે.
શિવ ધનુષને શિવસ્થ કરીને રામ તથા સીતાના લગ્ન થયા. એ અનહદ દ્રશ્ય જોવા મોટા ભાગના આમંત્રિતો હાજર ન હતા. અંતિમ ક્ષણ સુધી રોકાવાનું સૌજન્ય હોવું જોઈએ, સૌજન્ય અને સજ્જનતા તેમાં જ છે. પણ જેને કંઈ પ્રાપ્ત થયું જ નથી, તેવા ઘણામાં એ લાગણી હોતી નથી.
જ્યારે સમારંભ પૂરો થયો ત્યારે રાજઠાઠના જોવા જેવા હાલ હતા. લગભગ બધું વેરવિખેર હતું. વર-વહૂ તથા તેમના સગાંઓ સિવાય, લગભગ આશીર્વાદ મેળવતા હતા. પણ પહેલાં જ આશીર્વાદ ધન્યવાદી સાબિત થયા નહિ.
પહેલા આશીર્વાદ ભગવાન શિવશંકરના જ લેવાના હતા. રામ-સીતા નમન-વંદન કરીને, માથું ઝુકાવી, ઊભા રહ્યા.
ના. શિવજીએ માથે હાથ ન મૂક્યો કે ના કોઈ પ્રગટ અપ્રગટ વાણી ઉચ્ચારી. જમીનની સુગંધ સુધી, ઝૂકેલા રામ-સીતા એકબીજાની સામે જોવા લાગ્યા.
પ્રશ્ન મુંઝવણમાં મૂકાઈ ગયો. માથું ઊંચું લેવું કે કેમ? શા માટે શિવજી સ્થિર છે? ભગવાન
રામ-સીતાનો હાથ પકડી તેમને ઊભા કેમ કરતાં નથી ?
અંતમાં શ્રીરામે જ કહ્યું : ”ભગવાન શિવશંકરજી, નવસંસારમાં પદાર્પણ કરતા પહેલાં આપના આશીર્વાદ વાંચ્છીએ છીએ !”
ભગવાન શિવે એક હાથ ઊંચો કર્યો, એટલે કે અડધો ઊંચો કર્યો, અને વિદાય લીધી.
નવયુગલ રામ-સીતા અચંબિત થયા.
આ આશીર્વાદ હતા ? કે ન હતા ?
સંપૂર્ણ આશીર્વાદ હતાં કે અર્ધપૂર્ણ !
બીજી બાજુ પાર્વતીજીએ ઠપકો આપ્યો ભગવાન શિવને ! ”મંગળ કાર્ય આશીર્વાદથી જ પૂર્ણ થતું હોય છે.”
શિવજી કહે પોતાનો આનંદ છૂપાવી શકતા નથી, નારાજીય છૂપાવી શકતા નથી. તેમણે સહધર્મા પાર્વતીજીને સામું પૂછ્યું : ”કાર્ય પૂર્ણ થયેલું માનો છો તમે ?”
વહેલાં કે મોડાં અણસાર આવી જ ગયો રામને. તેમને સમજતા વાર લાગી નહિ. સીતાનો સાથ લઈ ઝડપથી તેમણે સમારંભનું દ્રશ્ય જોવા જેવું કરી નાખ્યું. પછી તૂટેલા શિવધનુષના બંન્ને પડખાં, પૂજ્યભાવ સાથે ગ્રહણ કર્યા, ઉપાડયા, જે તે સ્વસ્થ જગાએ ગોઠવ્યા. એ વિશાળ વજનદાર વજ્રદેહો ધનુષના ટુકડા ગોઠવતી વખતે જ શ્રીરામને ભગવાન શિવશંકરની નારાજીનું કારણ સમજાઈ ગયું. જે કામનો આરંભ જે ઉમળકાથી થાય તે જ ઉત્સાહથી તે કાર્યની પૂર્ણાહુતિ થવી જોઈએ.
શિવ પાર્વતીએ સંયુક્ત રીતે આશીર્વાદ આપતાં હાથ ઊંચા કરી કહ્યું, ”રામ ! આસુરી તત્ત્વો, આતંકવાદનો અંત એ જ અમારા આશીર્વાદ-શુભેચ્છા.”