fbpx
Wednesday, April 24, 2024

લીલો રંગ તમારા ભાગ્યને કેવી રીતે અસર કરશે? બુધવાર સાથે જોડાયેલા લીલા રંગનું રહસ્ય જાણો!

લૌકિક માન્યતામાં બુધવારનો દિવસ એ શ્રીગણેશ અને માતા દુર્ગાને સમર્પિત મનાય છે. પ્રચલિત મત એવો છે કે જો આ દિવસે કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખીએ તો ‘બુધવાર’ની મદદથી આપણે અનેકવિધ લાભની પ્રાપ્તિ કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ વાર એ કેટલાંક કાર્યો માટે શુભ તો કેટલાંક કાર્યો માટે અશુભ મનાય છે. ત્યારે જો, તે વાતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે તો વ્યક્તિને ચોક્કસથી વિધ-વિધ પ્રકારના લાભની પ્રાપ્તિ થતી હોય છે. એક ઉપાય કરવા માત્રથી વ્યક્તિની કિસ્મત પણ બદલાઈ જતી હોય છે. આવો તે વિશે જ આજે વિગતે માહિતી મેળવીએ.

રોકાયેલા કામ પૂર્ણ થશે

બુધવારના દિવસે ઘરેથી કોઇપણ કાર્ય માટે નિકળતા પહેલા સિંદૂરનું તિલક અવશ્ય લગાવવું. જે આપના માટે શુભ ફળદાયી બનશે.

⦁ આ દિવસે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા.

⦁ જો લીલા રંગના વસ્ત્ર ન હોય તો લીલા રંગનો હાથરૂમાલ પાસે રાખી શકો છો.

⦁ લીલો રંગ બુધ ગ્રહની સાત્વિક ઊર્જાની અસર આપના સ્વાસ્થ્ય પર કરે છે.

⦁ લીલો રંગ આપની બુદ્ધિને એકાગ્ર કરવામાં પણ આપની મદદ કરે છે. જેનાથી આપની નિર્ણયશક્તિમાં વધારો થશે.

ઉધાર લેવડદેવડ બિલકુલ ન કરવી

⦁ બુધ ગ્રહનો સીધો સંબંધ વ્યાપાર સાથે છે. એવી માન્યતા છે કે બુધવારના દિવસે કોઇની પણ પાસેથી ઉધાર લેવડ દેવડ કરવી જોઈએ નહીં.

⦁ આ દિવસે ઉધાર લેવડ દેવડ કરવાથી વ્યક્તિની ધન સંપત્તિમાં નુકસાન થાય છે.

⦁ આર્થિક સમૃદ્ધિ માટે બુધવારના દિવસે ધનમાં રોકણ કરવું ઉત્તમ માનવામાં આવે છે.

⦁ જો તમે શેરબજારમાં આપના પૈસાનું રોકાણ કરવા ઇચ્છો છો કે અન્ય કોઇ માધ્યમોથી ધનમાં વધારો કરવા ઇચ્છો છો તો બુધવારના દિવસે ધન જમા કરવાનું શરૂ કરવું જોઇએ.

કિન્નરને આપો દાન

⦁ આ દિવસે આપને જો કોઇ કિન્નરના દર્શન થાય તો તેમને કેટલાક પૈસા કે શ્રૃંગારની સામગ્રી દાન કરવી જોઇએ. આ કાર્ય કરવાથી આપને કિન્નરના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ વસ્તુને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.

⦁ કિન્નરોનો સંબંધ બુધ ગ્રહ સાથે માનવામાં આવે છે. એટલે આજના દિવસે તેમને કરવામાં આવતા દાનથી આપના પર બુધ ગ્રહનો શુભ પ્રભાવ જોવા મળશે.

⦁ આ ઉપાયથી આપના ધન, સંપત્તિ, શિક્ષા, તેમજ ઘરની મહિલાઓ સાથેના સંબંધો સારા રહેશે.

બુધવારની યાત્રામાં લાભ માટે અજમાવો આ ઉપાય

⦁ બુધવારના દિવસે જો તમે યાત્રા કરવાનું વિચારી રહ્યા હોવ તો આપની યાત્રા પૂર્વ કે દક્ષિણ દિશા તરફની હોવી જોઇએ.

⦁ બુધવારના દિવસે ઉત્તર અને પશ્ચિમ દિશામાં યાત્રા કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે આ દિશામાં શૂળ હોવાની માન્યતા છે જે કષ્ટદાયી થઇ શકે છે.

⦁ જો યાત્રા કોઇપણ કારણસર ટાળી શકાય તેમ ન હોય તો વરિયાળી કે મગની દાળ ખાઇને યાત્રા માટે નીકળવું.

બુધવારે મહિલાઓ અને પુરુષો રાખે ખાસ આ બાબતોનું ધ્યાન

⦁ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહિલાઓએ બુધવારના દિવસે લીલા રંગની બંગડીઓ ધારણ કરવી જોઇએ.

⦁ આ દિવસે મહેંદી લગાડવી શુભ માનવામાં આવે છે.

⦁ પુરુષોએ બુધવારના દિવસને ભાગ્યશાળી બનાવવા માટે અખંડ સૌભાગ્યવતી મહિલાઓને તેમજ કુંવારી કન્યાઓને લીલા રંગની બંગડીઓ ભેટ તરીકે આપવી જોઈએ.

⦁ માતાઓએ પોતાના બાળકોની સલામતી અને સ્વાસ્થ્ય માટે બુધવારના દિવસે વાળ ન ધોવા જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles