પૌરાણિક માન્યતા અનુસાર ઘરમાં તુલસીનો છોડ રોપવાથી આપના ઘર પર સદૈવ દેવી દેવતાની વિશેષ કૃપા રહે છે. તુલસીનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. તુલસી વિશે ઘણી માન્યતાઓ છે જેમ કે સમુદ્ર મંથન સમયે જે અમૃત ધરતી પર છલકાયું હતું, તેમાંથી તુલસીની ઉત્પત્તિ થઈ છે. શાસ્ત્રોમાં તુલસીના છોડને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે અને તે જો ઘરમાં રોપવામાં આવે તો તે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. અલબત્, તુલસીનો છોડ ઘરમાં રાખતા પહેલાં તેને સંબંધિત નિયમોનું બરાબર ધ્યાન રાખવામાં આવે તે સૌથી વધારે જરૂરી છે.
સામાન્ય રીતે તુલસીના છોડને એક ઔષધિય છોડ પણ માનવામાં આવે છે. ત્યાં જ સનાતન ધર્મમાં તુલસીના છોડને માતાના સ્વરૂપમાં પૂજનીય માનવામાં આવે છે. પૌરાણિક કાળથી લઈને આજ સુધીના સમયમાં તુલસીના છોડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એ જ કારણે આજે પણ હિન્દુ ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે.
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ અને લાભદાયી દર્શાવવામાં આવ્યો છે. મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે. લોકો શ્રદ્ધા સાથે સવાર સાંજ તુલસીના છોડની પૂજા કરે છે. જળ અર્પણ કરે છે. એટલું જ નહીં પરંતુ ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય હોય તો ત્યારે પણ તુલસીજીની પૂજા કરવામાં આવે છે. તુલસીના છોડનું ધાર્મિક મહત્વ તો છે જ સાથે સાથે તુલસીના છોડને આયુર્વેદ અને વિજ્ઞાનમાં પણ મહત્વનું ગણવામાં આવે છે.
પૌરાણિક માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં દેવી-દેવતાનો વાસ હોય છે. ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે. તેનાથી ઘરની આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. આ બધી જ શુભતા સાથે તુલસીના છોડ માટે કેટલાક નિયમો આપણા ધર્મગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે. જો આપણે આ નિયમોને અનુસરીશું તો આપણા ઘર પર તુલસી માતાની કૃપા અવિરત વરસશે.
ફળદાયી તુલસી પૂજા
⦁ ધર્મ ગ્રંથોમાં તુલસીની પૂજા નિત્ય કરવાનું કહેવામાં આવ્યું છે.
⦁ તુલસીના છોડને જળ અર્પણ કરવાથી વ્યક્તિને લાભ થાય છે.
⦁ સાંજે તુલસીના છોડની પાસે દીવો અચૂક પ્રગટાવવો જોઈએ.
⦁ તુલસીની નિત્ય પૂજા કરવાથી તુલસી માતાની કૃપા આપના ઘર પર સદાય રહે છે.
⦁ તુલસી માતાની પૂજાથી મહાલક્ષ્મી માતા પ્રસન્ન થાય છે.
⦁ ઘરમાં નિત્ય તુલસી પૂજનથી ઘરમાં રહેલ વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.
⦁ પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે.
⦁ ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
તુલસીના છોડ સાથે જોડાયેલા નિયમો
⦁ આપના ઘરમાં રહેલ તુલસીનો છોડ ક્યારેય સૂકાવો ન જોઈએ.
⦁ જો આપ બહારગામ જાવ છો તો એવી વ્યવસ્થા કરવી જોઈએ કે તુલસીના છોડને નિત્ય પાણી મળી રહે.
⦁ જો આપના ઘરમાં રહેલ તુલસીનો છોડ સુકાઈ જાય છે કે કરમાઈ જાય છે તો આપના પરિવારને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સમસ્યાઓથી બચવા માટે ક્યારેય તુલસીના છોડને સૂકાવવા ન દેવો.
⦁ જો તુલસીના છોડની યોગ્ય સંભાળ રાખવામાં આવશે તો આપની પ્રગતિને કોઈ જ રોકી નહીં શકે !
⦁ જો તુલસીનો છોડ આપના ઘરમાં સ્વસ્થ રહેશે તો આપનો પરિવાર પણ એવી જ રીતે સ્વસ્થ અને ખુશહાલ રહેશે.
તુલસીના છોડમાંથી પાન ચૂંટતી વખતે શું રાખશો ધ્યાન ?
⦁ પૂજા માટે તુલસી દળ તોડતી વખતે જો તમે અપવિત્ર હોવ તો તે કાર્ય ન કરવું.
⦁ તુલસીદળ એકાદશી, રવિવાર અને ચંદ્રગ્રહણના દિવસે ન તોડવું જોઈએ. આ કાર્ય કરવાથી તમને દોષ લાગે છે.
⦁ જરૂરિયાત વિના ક્યારેય તુલસીદળ ન તોડવું જોઈએ. તેવું કરવાથી તુલસીમાતાનું અપમાન થાય છે.
⦁ તુલસીની સુગંધ શ્વાસ સંબંધિત કેટલીક બિમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે.
⦁ નિત્ય એક તુલસીદળનું સેવન કરવું જોઇએ.
⦁ શરદી, તાવ જેવી બીમારીઓ સામે રક્ષણ માટે ચા બનાવતી વખતે તેમાં તુલસીદળ ઉમેરીને આ ચાનું સેવન કરવું જોઇએ. તેનાથી આપને જરૂરથી લાભ થશે.
⦁ તુલસીદળનું નિત્ય સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)