fbpx
Saturday, April 20, 2024

ઘરમાં મંદિર બનાવતા પહેલા જાણી લો આ નિયમ, નહીં તો ભોગવવી પડશે મુશ્કેલી!

ભક્તો જેટલાં ઉત્સાહથી પોતાનું ઘર સજાવતા હોય છે, એનાથી પણ વધારે હરખભેર તેઓ ઘરમાં રહેલાં ભગવાનના ‘ઘર’ એટલે કે મંદિરને શણગારતા હોય છે. કારણ કે એ ઘરમાં રહેલું ‘મંદિર’ જ હોય છે કે જેની દિવ્ય ઊર્જાથી એક મકાન એ ઘર બને છે. ઘરમાં સ્થાપિત મંદિરની પવિત્રતાથી જ પરિવારજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. પણ કહે છે કે તેનાથી વિપરીત જો આ મંદિર પ્રત્યે દુર્લક્ષ રાખવામાં આવે તો તે ઘરમાં રહેનારાઓની પ્રગતિને પણ અવરોધી શકે છે ! ઘરમાં મંદિર કઈ દિશામાં સ્થાપવું જોઈએ એ વિશે તો બધાં ધ્યાન રાખતાં જ હોય છે. પરંતુ, મંદિર સ્થાપન સંબંધી જે ખૂબ જ જરૂરી છે તેવી બાબતોને જ ધ્યાને લેવાનું ભૂલી જાય છે.

ઘરમાં યોગ્ય સ્થાન પર મંદિર સ્થાપનાની વિધિનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ કેટલાંક નિયમોને અનુસરવાનું પણ છે. આ એ નિયમો છે કે જે ઘરની પવિત્ર ઊર્જાને અકબંધ રાખશે. કેટલીક નાની બાબતોને ધ્યાનમાં રાખીને તમે ઘરમાં જ કોઈ ‘દેવાલય’ જેવું વાતાવરણ અનુભવી શકશો ! આવો આજે કેટલીક આવી જ માન્યતાઓ વિશે જાણકારી મેળવીએ.

શું રાખશો ધ્યાન ?

એકથી વધુ મંદિર ઘરમાં ન રાખો

ઘરમાં ક્યારેય એકથી વધારે મંદિરની સ્થાપના ભૂલથી પણ ન કરવી ! માન્યતા અનુસાર તેનાથી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે !

સીડીની નીચે કે ભોંયરામાં મંદિર ન રાખવું

ઘરની અંદર જ સીડી પડતી હોય તો ભૂલથી પણ તેની નીચે ક્યારેય મંદિર ન બનાવવું ! ભોંયરામાં પણ મંદિરનું નિર્માણ ન કરવું ! તેનાથી નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે !

મંદિર રસોડામાં ન રાખવું

ઘણાં પરિવારોમાં મંદિર રસોડામાં જ બનાવેલું જોવા મળે છે. પરંતુ, ક્યારેય પણ રસોડામાં મંદિર ન મૂકવું જોઈએ. એ જ રીતે મંદિરની સાથે રસોડું કે સ્ટોર રૂમ પણ ન પડતો હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.

કયા દેવતાની મૂર્તિ ન રાખવી ?

ઘરના મંદિરમાં ભૂલથી પણ શનિદેવની તસવીર કે મૂર્તિ ન રાખવી જોઈએ. તેમજ પૂર્વજોની તસવીર પણ ઘરના મંદિરમાં ન મૂકવી. ઘરના મંદિરમાં આવી તસવીરોનું હોવું અશુભદાયી મનાય છે !

એક ભગવાનની કેટલી મૂર્તિ રાખવી ?

જો મંદિરમાં એક જ ભગવાનની બે મૂર્તિ હોય તો તેને એકબીજાની સામે ન રાખવી. તેમજ મંદિરની બે મૂર્તિ વચ્ચે ઓછામાં ઓછું એક ઈંચનું અંતર રાખવું જોઈએ.

સફાઇ રાખો

મંદિરની આસપાસ બિલ્કુલ પણ ગંદકી ન હોવી જોઈએ ! તે ઘરનું સૌથી પવિત્ર સ્થાન હોઈ હંમેશા જ સ્વચ્છ રાખવું જોઈએ. ત્યાં નિત્ય જ સાફ-સફાઈ કરવી જોઈએ.

મંદિરનો દરવાજો ખુલ્લો રાખવો

મંદિર એ ઘરનું સૌથી જાગ્રત સ્થાન છે. એટલે તેનો દરવાજો ક્યારેય બંધ ન કરવો જોઈએ.

આ ઉપરાંત કહે છે કે મંદિરની આસપાસ કે સામે ક્યારેય શૌચાલય તો ન જ હોવું જોઈએ ! તો મંદિર તરફ પગ રાખીને પણ ક્યારેય ન સૂવું જોઈએ. કહે છે કે આવી ભૂલો કરવાથી પૂજાના શુભફળની પ્રાપ્તિ નથી થતી ! આ બધી જ બાબતો લૌકિક અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. પણ, કહે છે કે આ નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો સમગ્ર ઘરનું વાતાવરણ પણ મંદિર જેટલું જ પવિત્ર ભાસવા લાગશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles