fbpx
Saturday, April 20, 2024

યોગિની એકાદશીનું વ્રત અપાવશે મહાફળ, જાણો કઈ વિધિથી વિષ્ણુ થશે પ્રસન્ન?

હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ હોય છે. દરેક મહિનામાં બે એકાદશી આવતી હોય છે. એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ માસના વદ પક્ષમાં આવતી એકાદશીની તિથિને યોગિની એકાદશી કહેવાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી જીવનના તમામ પાપકર્મનો નાશ થઈ જાય છે.

અને અંતે જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એક માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. યોગિની એકાદશીની મહત્તા તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પણ વર્ણવી છે. આવો, તે વિશે વિગતે જાણીએ.

યોગિની એકાદશીનું મહત્વ

યોગિની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરનાર ત્રણેય લોકમાં પ્રસિદ્ધિ પામે છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ આ વ્રતની મહત્તા જાણાવતા કહ્યું છે કે, યોગિની એકાદશીનું વ્રત કરનાર જાતકને હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. તારીખ 24 જૂન, શુક્રવારના રોજ આ જ રૂડો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે આવો, એ જાણીએ કે કઈ પૂજાવિધિ દ્વારા આ દિવસે શ્રીવિષ્ણુની પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકાશે.

યોગિની એકાદશીનું વ્રત અને તેની પૂજા વિધિ

⦁ યોગિની એકાદશીના વ્રતના આગલા દિવસે સાંજે સાત્વિક ભોજન કરવું.

⦁ એકાદશી તિથિએ સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ પૂજા સ્થાનની સાફ-સફાઇ કરવી.

⦁ હવે આપના હાથમાં અક્ષત, જળ અને પુષ્પ લઇને યોગિની એકાદશીના વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો.

⦁ શુભ મૂહુર્તમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રને એક બાજઠ પર સ્થાપિત કરો. પછી તેને પંચામૃત વડે સ્નાન કરાવો.

⦁ ત્યારબાદ શ્રીહરિનો શ્રૃંગાર કરો. પ્રભુને પીળા વસ્ત્ર, પીળા રંગના પુષ્પ, ફળ, ફૂલહાર, ચંદન, ધૂપ, દીપ, અક્ષત, સાકર, હળદર, તુલસીના પાન, નાગરવેલના પાન અને સોપારી અર્પણ કરો.

⦁ આ કાર્ય દરમ્યાન ।। ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ ।। મંત્રનો ઉચ્ચાર કરતા રહો. પછી વિષ્ણુ ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. યોગિની એકાદશીના વ્રતની કથા શ્રવણ કરો અથવા પઠન કરો.

⦁ અંતમાં ઘીના દીવા કે કપૂરથી ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક આરતી કરો.

⦁ ભગવાન વિષ્ણુ આપની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરો.

⦁ દિવસ દરમ્યાન ફળાહાર કરો. ભજન-કિર્તન કરો, સાંજે શ્રીહરિ વિષ્ણુની આરતી કરીને રાત્રે જાગરણ કરો.

⦁ બીજા દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો.

⦁ કોઇ બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, ફળનું દાન કરી યથાશક્તિ દક્ષિણા આપો.

⦁ ત્યારબાદ સૂર્યોદય પછી શુભ સમયમાં યોગિની એકાદશી વ્રતના પારણા કરો. આ રીતે પૂજા વિધિ કરવામાં આવશે તો આપને અવશ્ય ભગવાન વિષ્ણુની પ્રસન્નતાની પ્રાપ્તિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles