જે વ્યક્તિ જીવનમાં જેમ જેમ સફળ થાય છે..તેમ તેમ તેના દુશ્મનો વધતાં જાય છે…જી હાં આવી સ્થિતિમાં દુશ્મનોને હરાવવા માટે તંત્ર-મંત્રનો સહારો લેવો પડે છે. હિમાચલ પ્રદેશમાં એક મંદિર છે જ્યાં શત્રુઓનો નાશ કરવા માટે યજ્ઞ કરવામાં આવે છે.
શત્રુઓનો સામનો કરવો સરળ નથી..હા વાત બિલકુલ સાચી છે…ઘરના વિવાદો, ધંધો-નોકરી સંબંધિત સમસ્યાઓ, કોર્ટ કેસ કે અન્ય કારણોસર બનેલા શત્રુઓનો સામનો કરવા માટે તમામ પ્રકારની નિતી અપનાવવી પડે છે. ઘણી વખત શામ-દામ-દંડ-ભેદ જેવી વિવિધ નીતિઓ અપનાવવી પડે છે. હિમાચલ પ્રદેશમાં એક એવું મંદિર છે, જ્યાં વિશેષ પૂજા કરવાથી સૌથી મોટા દુશ્મન પર પણ વિજય પ્રાપ્ત થાય છે. આ મંદિરનું નામ બગલામુખી મંદિર છે અને અહીં શત્રુનાશિની યજ્ઞ કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
1) યજ્ઞમાં લાલ મરચાનો ભોગ
કાંગડા જિલ્લામાં આવેલું બગલામુખી મંદિરમાં શત્રુનાશિની અને વક્ષસિદ્ધિ યજ્ઞો કરવામાં આવે છે. આ યજ્ઞ કરવાથી શત્રુને હરાવવામાં મદદ મળે છે. ફક્ત એટલું જ નહીં પણ સૌથી મોટા દુશ્મનનો પણ પરાજય થાય છે. આ સાથે વ્યક્તિની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે. શત્રુઓને હરાવવા માટે આ યજ્ઞોમાં લાલ મરચાંનો ભોગ આપવામાં આવે છે.
2) મા બગલામુખી રાવણની પ્રમુખ દેવતા
હિંદુ પૌરાણિક કથાઓમાં મા બગલામુખી દસ મહાવિદ્યાઓમાંથી આઠમા ક્રમે છે. તે રાવણની પ્રમુખ દેવતા હતી. ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન રામ રાવણ સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે મા બગલામુખીની પણ પૂજા કરી હતી. પછી તેને રાવણ પર વિજય મળ્યો. એ જ રીતે પાંડવોએ પણ મા બગલામુખીની પૂજા કરી હતી. એવું કહેવાય છે કે કાંગડામાં આવેલું આ મંદિર મહાભારત કાળનું છે અને પાંડવોએ જ તેમના વનવાસ દરમિયાન એક રાતમાં આ મંદિરની સ્થાપના કરી હતી.
3) પીળો રંગ મંદિરની ઓળખ
મા બગલામુખીનું આ મંદિર પીળા રંગનું છે. એવું માનવામાં આવે છે કે મા બગલામુખી ભક્તોના ભયને દૂર કરે છે અને તેમના દુશ્મનો અને તેમની ખરાબ શક્તિઓનો નાશ કરે છે. મોટા નેતાઓ, સેલિબ્રિટી સહિતના લોકો અહીંયા પણ ખાસ પૂજા માટે આવે છે.
(નોંધઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત લેખ પર આધારિત છે. અમે આ અંગેની પુષ્ટી કરતા નથી.)