Surat : ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ આ પ્રખ્યાત કહેવત સુરતની ઓળખ આપવા માટે પૂરતી છે. સુરત મોજીલા સુરતીઓનું શહેર છે. અહીં દરેક તહેવાર હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવે છે. સુરત ધંધા રોજગારની સાથે સાથે તેની ખાવાની વાનગી માટે પણ જાણીતું છે. લોચો, માયોપાઉં, દાબેલી, ઘારી જેવી વાનગીઓ સુરતની ઓળખ છે. મોટાભાગના સુરતીઓનો એક જ જીવનમંત્ર હોય છે, ખાવાનું, પીવાનું અને મજાની લાઈફ.
સુરતમાં વર્ષોથી શરદ પૂનમના દિવસે ઘારી ખાવામાં આવે છે. આ દિવસે સુરતમાં કરોડો રુપિયાની ઘારી સાથે ભૂસું પણ ખાવામાં આવે છે. સુરતની અલગ અલગ વેરાયટીઝવાળી ઘારી દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ ઘારીનો ઈતિહાસ વર્ષો જૂનો છે.
આ દિવસે મીઠાઈની દુકાનો પર લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. સુરતીઓ આ દિવસે કરોડો રુપિયાની ઘારી ખાતા હોય છે. કઈક નવુ કરવાના શોખીન સુરતીઓ અલગ અલગ જાતની ઘારી બનાવતા હોય છે. હાલમાં સુરતમાં ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે, જેની કિંમત 9,000 રુપિયા છે, તે સિવાય સુરતીલાલાઓ બદામ પિસ્તા ઘારી, માવા ઘારી, સ્પેશિયલ કેસર પિસ્તા ઘારી, મેંગો ઘારી, અંજીર અખરોટ ઘારી, સ્પેશિયલ કૃષ્ણ કસ્તુરી ઘારી, કેસર પિસ્તા ઘારી જેવી ઘારીઓ ખાતા હોય છે.
ઘારીનો રસપ્રદ ઈતિહાસ
ઇ.સ 1836માં સુરતમાં નિર્મળદાસજી નામના સંત દ્વારા કોટસફીલ રોડ પર શેષનારાયણ મંદિરમાં એક મઠની સ્થાપના કરવામાં આવી હતી. જ્યા સંત નિર્મળદાસજીએ દેવશંકરભાઈને વિશિષ્ટ પ્રકારની મીઠાઇ બનાવવાની રીત શીખવાડી હતી. આ મિઠાઇને ઘારી નામ આપ્યુ હતુ. ત્યારબાદ દેવશંકરભાઈએ ઈ.સ. 1838માં લાલગેટ ખાતે સૌ પ્રથમ ઘારી અને ફરસાણની દુકાન શરુ કરી હતી. ઈ.સ.1857ના વિપ્લવમાં તાત્યા ટોપે અને તેમના સૈન્યે પણ સુરતમાં ઘારી ખાધી હતી અને તે દિવસ આસો વદ પડવો હતો અને ત્યારથી જ ચંદની પડવાના દિવસે ઘારી ખાવાની પ્રથા શરુ થઇ હતી. ધીરે ધીરે દેશ-વિદેશમાં આ પ્રથા જાણીતી બની.
વર્ષ 1942માં સુરતીઓએ ન્હોતી ખાધી ઘારી
વર્ષ 1942માં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે ભારત છોડો અભિયાનની શરુઆત કરી હતી. તે સમયે ગાંધીજીએ નારો આપ્યો હતો, કરેગે યા મરેગે. તે સમયે મિઠાઇ-ફરસાણ એસોસીએશનનાં પ્રમુખ જમનાદાસ ઘારીવાલા એ ચંદની પડવા પર ઘારી ન વેચવા અને દુકાનો બંધ રાખીને આંદોલનને ટેકો આપવાની અપીલ કરી અને એ અપીલ શહેરના તમામ દુકાનદારોએ સ્વીકારી લીધી. અને તે દિવસે ઘારી ન બનાવી, ન વેચી અને ન દુકાનો ખોલી. દુકાનદારો માટે કમાણી કરવાનો આ શ્રેષ્ઠ દિવસ હતો તેમ છતા દુકાનો પર તાળા લટકતા હતા. તેનાથી અંગ્રેજ સરકાર ગુસ્સે ભરાઈ. તેમણે દુકાનદારોને ખોલવાનો આદેશ કર્યો નહીં તો જેલમાં આવવા કહ્યુ. તે સમયે દુકાનદારો એ રાષ્ટ્ર હિત માટે જેલમાં જવાનું પસંદ કર્યુ હતુ.