fbpx
Friday, March 29, 2024

શું બાળકો ભણવામાં ધ્યાન નથી આપતા? આ નાના ઉપાયોથી થશે સમસ્યા દૂર!

આજે અમારે એક એવી સમસ્યા વિશે વાત કરવી છે કે જેની ચિંતા માતા-પિતાને સતત સતાવતી જ રહેતી હોય છે. અને તે છે તેમના બાળકોનો અભ્યાસ. સંતાનો સારી રીતે ભણે તે માટે માતા-પિતા તેને સારામાં સારી સ્કૂલમાં એડમિશન અપાવતા હોય છે. મોંઘા ટ્યુશન ક્લાસિસમાં પણ બાળકોને મૂકતા હોય છે. પણ, ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકોનું ભણવામાં મન જ નથી લાગતું હોતું.

ગમે તેટલું કરો, પણ, બાળકો ભણે જ નહીં. અને જો ભણે તો પણ તેમને કંઈ યાદ જ ન રહે. ક્યાંક તમારા સંતાનો સાથે પણ આવી જ સમસ્યા તો નથી ને ? જો હા, તો આજે ધ્યાનથી વાંચો. આ લેખ ખાસ તમારા માટે જ છે.

અભ્યાસ પર શેની અસર?

વાસ્તવમાં બાળકના ભણતરનો સંબંધ ગ્રહો સાથે પણ રહેલો છે. બાળકનું જીવન મુખ્યત્વે ચંદ્રથી સંચાલિત હોય છે. બાળકના જન્મથી 8 કે 12 વર્ષ સુધી તેના પર ચંદ્રનો ખૂબ મોટો પ્રભાવ હોય છે. વળી, ચંદ્ર એ મનનો સ્વામી છે. એટલે કે તે બાળકના મન પર વધુ પ્રભાવ પાડે છે. તેને લીધે જ બાળકોમાં ચંચળતા પણ જોવા મળે છે. સારા અભ્યાસ માટે બાળકોમાં એકાગ્રતા આવે તે માટેના પ્રયાસ કરવા ખૂબ જ જરૂરી છે. એ જ રીતે બાળક શું ખાય છે, તેની અસર પણ તેના મન પર થતી હોય છે, અને પછી તેની ખાણીપીણી તેમજ ઘરનું વાતાવરણ પણ તેના અભ્યાસ પર અસર કરે છે. ત્યારે આવો, જાણીએ કે બાળકનું મન અભ્યાસમાં સ્થિર થાય તેના માટે કેવાં પ્રયત્નો કરવા જોઈએ.

સરળ ઉપાયથી સમાધાન

⦁ બાળકનું મન ભણવામાં ન લાગતું હોય, અથવા પરીક્ષા સમયે મન વધુ ચંચળ બની જતું હોય, તો બાળકના અભ્યાસ માટે એક ચોક્કસ જગ્યા બનાવો. તેનાથી ફાયદો થશે.

⦁ બાળકના અભ્યાસની જગ્યા પર ચંદનની સુગંધ રહે તે માટેના ઉપાયો કરો. તેનાથી બાળકનું મન પ્રફુલ્લિત બનશે અને અભ્યાસમાં તેની રુચિ લાગશે.

⦁ બાળક જ્યાં ભણતું હોય ત્યાં શ્રીકૃષ્ણ ભગવાનનો એક નાનો ફોટો કે મૂર્તિ રાખવી જોઈએ.

⦁ બાળકના અભ્યાસની જગ્યા પર પૂરતો પ્રકાશ આવતો હોય તે ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળક પ્રસન્નચિત્ત રહે છે અને પ્રેમથી સારી રીતે ભણી શકે છે.

⦁ બાળકને ભણતી વખતે સપોર્ટની જરૂર હોય છે. માતા-પિતા જ બાળકોને આ સપોર્ટ આપી શકે છે. પરંતુ, એ ખૂબ જ જરૂરી છે કે માતા-પિતા હંમેશા જ મનને શાંત રાખીને બાળકને ભણાવે.

⦁ બાળકને એકસાથે વધુ જમવાનું ન પીરસો. તે માપનું જ ભોજન ગ્રહણ કરે તે વાતનું ધ્યાન રાખો.

⦁ બાળકને અખરોટ અવશ્ય ખવડાવો. તેનાથી બાળકની યાદશક્તિ વધે છે. તમે આખા દિવસમાં ગમે ત્યારે બાળકને અખરોટ ખવડાવી શકો છો. પરંતુ, તે સવારે ખવડાવવી વિશેષ લાભદાયી બની રહે છે.

⦁ જીવનની સફળતા માટે દિવસમાં ગમે ત્યારે એક વખત તો બાળક પાસે પ્રાર્થના કરાવવી જોઈએ. આ સારી આદત બાળકના ભવિષ્યને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

⦁ બાળકના કપાળ પર કે ગળામાં નિત્ય જ ચંદનનું તિલક લગાવો.

⦁ બાળકના રૂમાલમાં ચંદનની સુગંધ રાખવી જોઈએ. તેનાથી તેનું ભણવામાં વધુ ફોકસ રહેશે.

⦁ ઘણીવાર એવું બને છે કે, બાળકો બરાબર અભ્યાસ કરતા હોય છે, વાંચતા પણ હોય છે. પણ, તેમ છતાં બધું જ ભૂલી જતા હોય છે. આ સંજોગોમાં નિત્ય જ સવારે 9 વખત કે 27 વખત બાળકો જોડે ગાયત્રીમંત્ર બોલાવવો જોઈએ અથવા તો તેમને સંભળાવવો જોઈએ.

⦁ એકાગ્રતા માટે સંતાનને નિત્ય સવારે સૂર્ય દર્શન કરાવવું જોઈએ.

⦁ માતા-પિતાએ ખાસ યાદ રાખવું, કે બાળકોને ભણવા માટે વધુ પ્રેશર ન આપવું. ખાસ કરીને બાળકોની પરીક્ષાના સમયે તો આ ભૂલ ક્યારેય ન કરવી.

⦁ બાળકોને વધુ તેલવાળુ કે મસાલેદાર ફૂડ ન આપવું જોઈએ. વિશેષ કરીને પરીક્ષાના સમયે તો તેમને ફાસ્ટફૂડ ન જ ખવડાવવું. તેનાથી રાહુ ગ્રહ એક્ટિવ થઈ જાય છે. અને તે બાળકને સારા પરિણામથી દૂર કરી દે છે.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles