દરેક ધાર્મિક અનુષ્ઠાન કે પૂજા-પાઠ દીપ પ્રાગટ્ય વિના અપૂર્ણ મનાય છે. સામાન્ય રીતે આ દીપને સત્કર્મના સાક્ષી રૂપે પ્રગટાવવામાં આવતો હોય છે. તો, પ્રભુની આરતી પણ દીપથી જ ઉતારવામાં આવે છે. વાસ્તવમાં આ દીપ એ સારા કાર્યની સાક્ષી પૂરે છે. અને કહે છે કે તે જીવનના અંધકારને હરીને તેને પ્રકાશથી પરિપૂર્ણ કરે છે.
દીવો એ તો નકારાત્મકત ઊર્જાને ગ્રસીને સકારાત્મક વાતાવરણ ઉભું કરે છે. પણ, શું તમે એ જાણો છો કે જ્યારે આ જ દીપ પ્રાગટ્ય લોટના કોડિયામાં થાય છે, ત્યારે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે ! આવો, આજે તે વિશે વિગતવાર માહિતી મેળવીએ.
લોટના દીવાનું મહત્વ !
આમ તો દીપ પ્રાગટ્ય માટે વિધ-વિધ ધાતુઓના દિવડાઓ ઉપલબ્ધ છે. પૂજન માટે લોકો પંચધાતુના, તાંબાના કે ચાંદીના દીવામાં દીપ પ્રગટાવતા હોય છે. તો, દિવાળી જેવાં અવસરો પર માટીના કોડિયામાં દીવા પ્રજ્વલિત કરીને ઘર સજાવવાનો મહિમા છે. પણ, આ તમામમાં લોટના દીવાની એક આગવી જ મહત્તા છે. માન્યતા અનુસાર કોઈ વિશેષ સમસ્યાથી મુક્તિ અર્થે જો કોઈ ખાસ લોટમાંથી કોડિયું તૈયાર કરી, તેમાં દીપ પ્રજ્વલિત કરવામાં આવે તો જે-તે સમસ્યાથી મુક્તિ મળે છે. વિવિધ લોટમાંથી તૈયાર થયેલાં દીવા મનુષ્યના જીવનમાંથી સમસ્યાઓ રૂપી અંધકારને હરી લે છે. સાથે જ તેની વિવિધ કામનાઓે પણ પરિપૂર્ણ કરે છે. આમ, તો કઈ સમસ્યાના નિવારણ માટે કયા લોટનો દીપ પ્રજ્વલિત કરવો તેની યાદી ખૂબ લાંબી છે. પરંતુ, આજે આપણે અનેક સમસ્યાના સચોટ નિવારણ જેવાં તંત્ર દીપનો મહિમા જાણીએ.
તંત્ર દીપનો મહિમા
ઘણીવાર એવું બને છે કે કેટલાંક ઘરોમાં કે પરિવારોમાં સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ જ નથી લેતી ! ગમે તેટલાં ઉપાયો અજમાવવામાં આવે તેમ છતાં કષ્ટો સમાપ્ત થવાનું નામ જ નથી લેતા ! એક મુસીબતથી છૂટકારો મળે ત્યાં જ બીજી મુસીબત આવીને ઊભી રહી જાય છે. આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં આપે તંત્ર દીપ પ્રજ્વલિત કરવો જોઈએ. જેની વિધિ નીચે અનુસાર છે.
⦁ તંત્ર દીપ બનાવવા તમારે 100 ગ્રામ ઘઉંનો લોટ, 100 ગ્રામ જવનો લોટ, 100 ગ્રામ ચણાનો લોટ તેમજ 100 ગ્રામ અડદનો લોટ લઈ તેનું મિશ્રણ કરવું.
⦁ લોટના આ મિશ્રણમાં 50 ગ્રામ હળદર ઉમેરીને બરાબર મિશ્રિત કરો.
⦁ આ મિશ્રણના એક સરખા 10 ભાગ કરો.
⦁ 10 ભાગમાંથી એક ભાગ લઈ પાણીથી તેનો લોટ બાંધી કોડિયું તૈયાર કરો.
⦁ ઘરના અગ્નિકોણમાં કોલસાથી ક્રોસનું (ચોકડીનું) નિશાન કરીને સંધ્યાકાળે તેના ઉપર આ દીવો પ્રજ્વલિત કરવો.
⦁ તમે કોઈપણ તેલનો કે ઘીનો દીવો પ્રજ્વલિત કરી શકો છો.
⦁ સળંગ દસ દિવસ સુધી સંધ્યાકાળે આ ઉપાય અજમાવવો.
ફળપ્રાપ્તિ
માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી આપના ઘર પર રહેલી કે પરિવારજનો પર રહેલી કાળી છાયા દૂર થઈ જાય છે. અને તે ઘરમાં રહેનારા લોકોને સુખી અને શાંતિમય જીવનની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)