fbpx
Thursday, April 25, 2024

તમારા જીવનમાં સારા દિવસો આવશે, બસ અપનાવો આ નવી અને સારી આદતો!

કેટલાંક નાના અને સરળ ઉપાયો આપના અશુભ ગ્રહોને પણ શુભ બનાવી શકે છે ! તમને કદાચ નવાઈ લાગશે, પરંતુ, તમે તમારી આદતો સુધારીને કે કેટલીક સારી આદતો પાડીને તમારું જીવન બદલી શકો છો ! આ એવી આદતો છે કે જે તમારી કુંડળીમાં રહેલ ગ્રહોની સ્થિતિ સુધારશે અને તેને મજબૂત બનાવશે. તો ચાલો, આપણે પણ તે સરળ અને સચોટ ઉપાયો વિશે જાણીએ અને સારી આદતો અપનાવીએ.

સરળ ઉપાયથી સમાધાન !

⦁ નિત્ય સ્નાન પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું. લાલ પુષ્પ અર્પણ કરીને હાથ જોડીને તેમને નમસ્કાર કરવા જોઇએ. તેનાથી આપનો સમગ્ર દિવસ ઊર્જાવાન બની રહેશે.

⦁ શક્ય હોય તો નિત્ય જ સવારે સૂર્યની સન્મુખ બેસીને એકાંતમાં ભગવત ભજન, મંત્રજાપ કે ગુરુમંત્રના જાપ કરવા જોઇએ.

⦁ નિત્ય કોઈ શિવ મંદિરે જઈ શિવલિંગ પર જળ અર્પણ કરીને 108 વખત “ૐ નમઃ શિવાય” મંત્રથી પૂજા કરીને તેમને દંડવત નમસ્કાર કરવા જોઇએ.

⦁ દરરોજ માતા-પિતા, ગુરુદેવ તેમજ વૃદ્ધજનોને પ્રણામ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા. તેનાથી આપને તેના શુભ ફળની પ્રાપ્તિ થશે.

⦁ હંમેશા સવારે ભોજન બનાવતી વખતે માતા અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ. અને સર્વ પ્રથમ રોટલી અગ્નિદેવના નામે બનાવીને ઘી તથા ગોળ ઉમેરીને તેમને સમર્પિત કરવી જોઈએ. એટલે કે, તેની અગ્નિમાં આહુતિ આપવી જોઈએ.

⦁ અગ્નિદેવને સમર્પિત કર્યા બાદની પ્રથમ રોટલી ગાયને ગોળ સાથે ખવડાવી. બની શકે તો ગાયનું પૂજન કરીને ગાય માતાને એવી પ્રાર્થના કરવી કે આજના દિવસે કામધેનુ માતા અમારું મનોવાંચ્છિત કાર્ય પૂર્ણ કરો.

⦁ શ્વાનને રોટલી ખવડાવવી અને પક્ષીઓને ચણ નાંખવું પણ ખૂબ જ શુભ મનાય છે. એ જ રીતે નદી કે વહેતા પાણીમાં રહેલા કાચબા અને માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી જોઇએ. તેનાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનું આગમન થાય છે સાથે જ આપનો ભાગ્યોદય પણ થાય છે.

⦁ ઘરે આવેલ મહેમાનોની સેવા નિષ્કામ ભાવથી કરવી જોઇએ તથા તેમની તરફથી પ્રાપ્ત થતા સંદેશા ધ્યાનથી સાંભળીને તેનું અનુસરણ કરવું જોઇએ.

⦁ દર શનિવારે પીપળાના વૃક્ષને જળ તેમજ કાચું દૂધ અર્પણ કરીને તેની સાત વાર પરિક્રમા કરવી જોઈએ. આ સાથે “પિતૃ દેવાય નમઃ” મંત્રનું 4 વાર રટણ કરવું. માન્યતા અનુસાર આમ કરવાથી રાહુ-કેતુના દોષ, શનિદોષ તેમજ પિતૃ દોષ દૂર થાય છે.

⦁ દેવું લેવું એ બિલ્કુલ પણ સારી વાત નથી. પરંતુ, ન છુટકે દેવું લેવું જ પડે તેમ હોય તો યાદ રાખો, કે બુધવારના દિવસે દેવું લઈ શકાય છે. પરંતુ, રવિવાર કે મંગળવારના દિવસે તો દેવું ન જ લેવું જોઈએ. હા, તમે મંગળવારના દિવસે દેવાની ચૂકવણી કરી શકો છો. સાથે જ ધ્યાન રાખો કે સંક્રાંતિ કે વૃદ્ધિ યોગ હોય અથવા હસ્ત નક્ષત્ર હોય ત્યારે દેવું ન જ લેવું જોઇએ.

⦁ હંમેશા જ યથાશક્તિ ગરીબોને દાન કરવું જોઇએ.

⦁ સેવા કર્યા બાદ યશની પ્રાપ્તિની ભાવના ન રાખવી જોઇએ.

⦁ ભક્ષણ ન કરી શકાય તેવી વસ્તુઓને ક્યારેય પણ ગ્રહણ ન કરવી જોઇએ.

⦁ પ્રત્યેક પ્રાણી પ્રત્યે યશાશક્તિ દયા, સ્નેહ અને સેવાની ભાવના રાખવી જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles