fbpx
Thursday, April 25, 2024

હોળાષ્ટક દરમિયાન ભૂલથી પણ ન કરવું જોઈએ આ કામ! નહિંતર, પસ્તાવાનો વારો આવી શકે છે!

સનાતન ધર્મમાં હોળાષ્ટકનું વિશેષ મહત્વ છે. આપને જણાવી દઇએ કે હોળાષ્ટક એ હોળીના 8 દિવસો પહેલા શરૂ થઈ જાય છે. અને આ આઠ દિવસોમાં કોઇપણ પ્રકારના શુભ કાર્યો કરવામાં નથી આવતા. ફાગણ માસમાં આવતા હોળિકા દહન અને ધૂળેટીના પર્વનું ખૂબ મહત્વ રહેલું છે. પરંતુ, આપને એક વાત જણાવી દઇએ કે આ આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઇ જાય છે.

આ આઠ દિવસોમાં કોઇપણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં નથી આવતા અને હોળિકા દહન બાદ ફરી શુભ કાર્યોનો પ્રારંભ થઈ જાય છે. આ વર્ષે 7 માર્ચ, મંગળવારે હોળિકા દહન કરવામાં આવશે અને હોળાષ્ટકનો પ્રારંભ 26 ફેબ્રુઆરી, મંગળવારે થશે. તો ચાલો, એ જાણીએ કે આ હોળાષ્ટક દરમિયાન શા માટે શુભ કાર્ય કરવામાં નથી આવતા. અને આ દરમિયાન કયા કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ.

હોળાષ્ટક દરમ્યાન માંગલિક કાર્યો કેમ નથી કરાતા ?

જ્યોતિશ શાસ્ત્રમાં જણાવવવામાં આવ્યુ છે કે હોળાષ્ટકના સમય દરમ્યાન કોઇ ગ્રહોની ચાલ શુભ નથી હોતી. ગ્રહોનો સ્વભાવ આ સમય દરમ્યાન ઉગ્ર હોય છે. એટલે આ દિવસો દરમ્યાન માંગલિક કાર્યો કરવાથી ગ્રહોની ખરાબ અસરનો સામનો કરવો પડી શકે છે. સાથે જ પરિવારમાં કલેશ અને કંકાસની સ્થિતિ સર્જાય છે. તેમજ ઘરમાં ધનહાનિ અને બીમારી થવાની સંભાવના રહે છે. એ જ કારણ છે કે હોળાષ્ટક દરમિયાન માંગલિક કાર્યો કરવાનું ટાળવામાં આવે છે.

હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરતા આ કામ !

  1. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હોળાષ્ટક દરમ્યાન લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ અને ઉપનયન સંસ્કાર જેવા શુભ કાર્ય ક્યારેય ન કરવા જોઈએ.
  2. કહે છે કે, હોળાષ્ટકના આઠ દિવસોમાં હવન અને યજ્ઞ જેવા કાર્યો પણ ન કરવા જોઇએ.
  3. આ દિવસોમાં રોકાણ કે પછી નવા વેપારની શરૂઆત પણ ન કરવી જોઇએ. નહીંતર આપને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.
  4. હોળાષ્ટકમાં નવા મકાન, નવી સંપત્તિ, ઘરેણાં અને ગાડીની ખરીદી કરવી પણ શુભ નથી મનાતી. સાથે જ ઘરના નિર્માણ કાર્યનો પ્રારંભ પણ હોળાષ્ટકમાં ન કરવો જોઇએ.
  5. આ સમય દરમ્યાન વિવાહ, સગાઇ સાથે જોડાયેલા કાર્યો પણ ન કરવા જોઇએ. કારણ કે તેની પાછળ એવી માન્યતા રહેલી છે કે જો આ સમય દરમ્યાન આ કાર્યો કરવામાં આવશે આપને સફળતા પ્રાપ્ત નથી થતી. જો આ સમય દરમ્યાન તમે લગ્ન કે સગાઇ કરો છો તો તે લાંબો સમય ટકતા નથી !
  6. હોળાષ્ટક દરમ્યાન મુંડન જેવા કાર્યો કરવાનો પણ નિષેધ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સમય દરમ્યાન નામકરણ સંસ્કાર પણ નથી કરવામાં આવતા.
    આ સમય દરમ્યાન બાળકના જન્મને લઇને કરવામાં આવતા શુભ સંસ્કારો પણ નથી કરવામાં આવતા. જો આ દિવસો દરમ્યાન બાળકની છ્ઠ્ઠીની તિથિ આવે તો તેની વિધિ પણ હોળાષ્ટક બાદ જ કરવામાં આવે છે.
  7. હોળાષ્ટક દરમ્યાન નવવધુને પિયરથી સાસરે પણ મોકલવામાં નથી આવતી. એ જ રીતે નવવધુને પિયર મોકલવાની કોઇ વિધિ હોય તો તે પણ હોળાષ્ટક પહેલા કે પછી જ કરવામાં આવે છે !

હોળાષ્ટકમાં ઉપાસનાનું મહત્વ

હોળાષ્ટકના આઠ દિવસ દરમ્યાન માંગલિક કાર્યો કરવાનો નિષેધ છે. પણ, આ સમય ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ઉત્તમ મનાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હોળાષ્ટકના સમયે ભગવાનની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. આ સમયગાળા દરમ્યાન ભગવાન વિષ્ણુની ઊપાસના કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ હોળાષ્ટકના આઠ દિવસો દરમ્યાન જો કોઇ જાતક નિરંતર મહામૃત્યુંજય મંત્રના જાપ કરે છે તો તેને અકાળ મૃત્યુનો ભય નથી સતાવતો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles