ગળી વસ્તુઓ મોટાભાગે દરેકને ભાવતી જ હોય છે. ગોળ, ખાંડ કે મધમાંથી બનતી મીઠી વાનગીઓનું તો નામ સાંભળીને જ લોકોના મોંઢામાં પાણી આવી જતું હોય છે. પણ, તમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે મોંઢામાં મીઠાશ લાવતી આ ગળી વસ્તુઓ તમારા જીવનને પણ મીઠી બનાવી શકે છે ! તમને કદાચ નવાઈ લાગશે પણ તમારા વિઘ્નો, વિપદાઓને હરવાનું સામર્થ્ય આ ગળી વસ્તુઓમાં છે !
આવો, આજે તે જ વિશે જાણીએ.
ગળપણ બદલશે નસીબ !
જ્યોતિષ શાસ્ત્રમાં એવાં અનેક ઉપાયોનું વર્ણન મળે છે કે જેના દ્વારા વ્યક્તિ તેની દશા અને દિશા બદલી શકે છે ! જેમાંથી જ એક છે ગળી વસ્તુઓનો પ્રયોગ. માન્યતા અનુસાર ગળપણ સંબંધિત ઉપાયો અજમાવીને તમે તમારા ગ્રહોની ચાલને બદલી શકો છો ! નસીબના બંધ તાળાને ખોલી શકો છો તેમજ પરિવાર પર આવેલા તમામ સંકટને પણ દૂર કરી શકો છો !
સૂર્યદેવતા અને ગળી વસ્તુઓ !
જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો તે જાતકને અશુભ ફળ પ્રદાન કરે છે. જો કોઈની કુંડળીમાં એકમાત્ર સૂર્ય ગ્રહ મજબૂત હોય, સૂર્ય જાતકને અનુકૂળ હોય, તો તે જાતક દુનિયાની ગમે તેટલી મુસીબત આવે તો પણ તેનો સામનો કરીને માર્ગ શોધી જ લે છે. પરંતુ, તેનાથી વિપરીત જો અન્ય ગ્રહોની સ્થિતિ સારી હોય, પણ કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિ જીવતે જીવ નરક જેવી યાતનાઓનો સામનો કરે છે. કારણ કે, સૂર્ય એ આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે. એટલે જેનામાં આત્મવિશ્વાસ જ નથી તેનું જીવન નિરર્થક છે. જ્યોતિષ શાસ્ત્રની પ્રચલિત માન્યતા અનુસાર ગળી સામગ્રીઓનો, એટલે કે ખાંડ, ગોળ કે મધનો ઉપયોગ કરીને તમે કુંડળીમાં રહેલાં સૂર્યની સ્થિતિને સુધારી શકો છો !
ગળપણ લાવશે જીવનમાં મધુરતા !
⦁ સૂર્ય ઉપાસનાનું સનાતન ધર્મમાં આગવું જ મહત્વ જોવા મળે છે. એટલે નિત્ય જ સૂર્યોદય સમયે સૂર્યદેવતાને અર્ઘ્ય અર્પણ કરવું. સાથે જ તે સમયે ગાયત્રી મંત્રનો જાપ કરવો. વિશેષ લાભ અર્થે સૂર્યોદય સમયે જળમાં થોડો ગોળ ઉમેરીને સૂર્યદેવતાને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ !
⦁ કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે ખાંડ અને ગોળનું દાન કરવું જોઈએ.
⦁ દર રવિવારે ગાયને ગોળ ખવડાવવાથી સૂર્યદેવતા શુભ ફળ પ્રદાન કરે છે.
⦁ કુંડળીના સૂર્યદોષને દૂર કરવા રવિવારે કથ્થઈ રંગની ગાયને ગળી રોટલી ખવડાવવી જોઇએ.
⦁ દૂધમાં મધ ઉમેરીને તેનું સેવન કરવાથી કુંડળીમાં રહેલો સૂર્યદોષ શાંત થાય છે.
⦁ રવિવારે ભગવાન શ્રીવિષ્ણુની પૂજા કરવી અને ત્યારબાદ મધનું દાન કરવું જોઈએ.
⦁ શક્ય હોય તો રવિવારના દિવસે વાંદરાઓને ગોળ-ચણા ખવડાવવા જોઇએ.
⦁ રવિવારે અંધજન વિદ્યાલયોમાં કે જરૂરિયાતમંદ બાળકોને ગળ્યું ભોજન કરાવવું અથવા તો તેમને મીઠાઈનું દાન કરવું જોઈએ. તેનાથી ટૂંક સમયમાં જ તમને સકારાત્મક પરિણામ જોવા મળશે.
⦁ લાલ રંગની કીડીઓને ખાંડ ખવડાવવાથી પણ કુંડળીના દોષો શાંત થાય છે.
⦁ માન્યતા અનુસાર આ નાના અને સરળ ઉપાયો કરવાથી સૂર્ય આપને અનુકૂળ થાય છે. તેમજ તેની તમામ પ્રકારની નકારાત્મક અસરો દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)