સમગ્ર વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓમાં ઉત્પત્તિ એકાદશીનું એક આગવું જ મહત્વ છે. કારતક માસના વદ પક્ષમાં આવતી આ ઉત્પત્તિ એકાદશીને લોકો ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશી જેવાં નામોથી પણ ઓળખે છે. આ વર્ષે અગિયારસની આ તિથિ 20 નવેમ્બર, રવિવારના રોજ છે. પ્રચલિત માન્યતા અનુસાર આ એ જ તિથિ છે કે જે દિવસે શ્રીહરિ વિષ્ણુના દેહમાંથી ‘કન્યા’ રૂપ એકાદશીનું પ્રાગટ્ય થયું હતું.
અને દેવીએ અસુર મુરનો વધ કરી દેવતાઓના તેમજ સ્વયં વિષ્ણુના મનોરથને સિદ્ધ કર્યું હતું. એ જ કારણ છે કે તમામ એકાદશીમાં આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે કઈ વિધિ સાથે વ્રત કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે!
વ્રતની ફળદાયી વિધિ
⦁ એકાદશીએ વહેલાં ઊઠી નિત્યકર્મથી પરવારીને સર્વ પ્રથમ વ્રતનો સંકલ્પ લેવો.
⦁ આમ તો, એકાદશીએ વિષ્ણુપૂજાની મહત્તા રહેલી છે. પરંતુ, ઉત્પત્તિ એકાદશીના અવસરે લક્ષ્મીનારાયણની એકસાથે આરધના કરવી વિશેષ ફળદાયી બની રહેશે.
⦁ એક બાજોઠ લઈ તેના પર લક્ષ્મીનારાયણની તસવીર કે પ્રતિમાનું સ્થાપન કરો.
⦁ દેવી લક્ષ્મી અને શ્રીહરિને પીળુ ચંદન, હળદર મિશ્રિત ચોખા, પીળા રંગના પુષ્પ, પીળા રંગના ફળ, તુલસીદળ અને પંચામૃત અર્પણ કરો.
⦁ પ્રભુને ધૂપ, દીપ, દક્ષિણા અને નૈવેદ્ય અર્પણ કરો.
⦁ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા વાંચી પ્રભુની આરતી ઉતારો.
⦁ આ દિવસે શક્ય હોય તો અચૂક ગાયને લીલું ઘાસ નીરવું તેમજ પક્ષીઓને ચણ નાંખવું.
⦁ સંપૂર્ણ દિવસ દરમ્યાન એવાં વ્યક્તિઓથી દૂર રહેવું જે ખરાબ કાર્ય કરતા હોય, કે જેમનો સ્વભાવ પાપી કે દુષ્ટ હોય !
⦁ જાણે-અજાણે થયેલી ભૂલો બદલ ભગવાન શ્રીવિષ્ણુની માફી માંગવી.
⦁ સમગ્ર દિવસ ઉપવાસ રાખી દ્વાદશીએ વ્રતના પારણાં કરવા. પણ, વ્રતના પારણાં કરતાં પહેલા બ્રાહ્મણને ભોજન કરાવવું, યથાશક્તિ દાન-દક્ષિણા આપવા અને વ્રતનું સમાપન કરવું.
વ્રતના નિયમો
⦁ ઉત્પન્ના એકાદશી કે ઉત્પત્તિ એકાદશીનું વ્રત બે રીતે કરી શકાય છે. એક તો નિર્જલા રહીને અને બીજું ફળાહાર કરીને.
⦁ ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે આ વ્રત એ જ વ્યક્તિએ કરવું જે શારીરિક રીતે સ્વસ્થ હોય !
⦁ આ વ્રત કરનાર જાતકે દશમની સાંજથી જ ભોજન કરવાનું બંધ કરી દેવું જોઈએ.
⦁ યાદ રાખો, કે આ વ્રત કરનાર જાતકે માત્ર ફળ કે જળ જ ગ્રહણ કરવાના હોય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)