ભારતમાં પ્રાચીન કાળથી જ માટીના વાસણમાં પાણી રાખવામાં આવે છે. માટીનાં ઘડામાં રાખેલું પાણી આરોગ્ય માટે સારું માનવામાં આવે છે અને એ જ કારણ છે કે આજના યુગમાં પણ ઘણાં લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાને બદલે માટલામાંથી કે ઘડામાંથી પાણી પીવાનું પસંદ કરે છે.
પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે માટલાની દિશા સાચી હોતી નથી અને આ બાબત તમારા ઘરમાં ખૂબ જ મોટું સંકટ પણ લાવી શકે છે. ત્યારે આવો, આજે ઘરમાં માટલું રાખવા સંબંધી કેટલાંક આવાં જ નિયમો વિશે વિગતે જાણીએ.
માટીનાં ઘડાનું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું મનાય છે. તે સિવાય માટીનો ઘડો વાસ્તુશાસ્ત્રનાં દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. શુકન શાસ્ત્રમાં ઉલ્લેખ છે તેમ પાણીથી ભરેલ માટીનો ઘડો દેખાવો એ પણ શુભ સંકેત છે. એટલે કે, તેને ગુડલક સાઇન માનવામાં આવે છે. તે વિશે વિસ્તારથી સમજીએ.
ધન સંપત્તિમાં લાવશે વૃદ્ધિ !
વાસ્તુશાસ્ત્રમાં માટીના વાસણ અને જગ ઘરમાં રાખવાની સાચી દિશા અને ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. પાંચ તત્વોમાં અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશનો સમાવેશ થાય છે. વાસ્તુ મુજબ ઉત્તર દિશા એ જળ તત્વ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં, પાણીને લગતી વસ્તુઓને ઉત્તર દિશામાં રાખવી શુભ પરિણામ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં માટીના ઘડાને ધન સંપત્તિ સાથે જોડવામાં આવે છે. જો માટીના ઘડાને ઘરમાં યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવામાં આવે તો ઘરમાં હંમેશા માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. ઘરના લોકોની પ્રગતિ થાય છે અને તેમની આવક વધે છે.
નવા ઘડાથી શુભાશિષ
જ્યારે પણ માટીનો નવો ઘડો ઘરમાં લાવો તો તેને યોગ્ય રીતે ધોઇને તેમાં પીવાનું પાણી ભરો. ત્યારબાદ આ પાણી સૌથી પહેલાં કોઈ બાળકને પીવડાવો. આવું કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ જળવાઈ રહે છે. એમાં પણ, પહેલું પાણી કોઈ કન્યાને પીવડાવવામાં આવે તો તે સવિશેષ લાભદાયી બની રહેશે.
ખૂલશે પ્રગતિના દ્વાર
માન્યતા અનુસાર માટીનો ઘડો ઉત્તર દિશામાં રાખવો જોઈએ. કારણ કે, તે વરુણદેવ એટલે કે જળના દેવતાની દિશા છે. જો એવું શક્ય ન હોય તો ઉત્તર-પૂર્વમાં પણ ઘડો રાખી શકાય છે. આવું કરવાથી ઘરના સભ્યોની આવક વધે છે અને તેમની પ્રગતિ થાય છે.
ઘડાને ક્યારેય ખાલી ન રાખો !
યાદ રાખો કે માટીના ઘડાને ક્યારેય પણ ખાલી રહેવા દેવો નહીં. ખાસ કરીને રાતના સમયે તેને બિલકુલ પણ ખાલી રાખવો નહીં. આવું કરવાથી ધનની હાનિ થાય છે. જો ઘડો ભરાયેલો રહેશે, તો તમારા ઘરમાં પણ ધન-ધાન્ય હંમેશા ભરાયેલાં રહેશે.
પાણિયારે સાંજે દીવો અવશ્ય કરો
જો તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત ન થઈ રહી હોય અને કારકિર્દી તથા વેપારમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, તો દરરોજ સાંજના સમયે માટીના ઘડાની સામે દીવો પ્રગટાવવો જોઈએ. સાથોસાથ સાંજના સમયે કપુર પણ પ્રગટાવવું. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને માતા લક્ષ્મી ખુશ થાય છે
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)