જાંબુ શરીર માટે ફાયદો કરાવે છે તેવું વારંવાર સાંભળવા મળ્યું છે. તે પેટના દુખાવા, ડાયાબિટિસ, સાંધાના દુખાવા, ઉપરાંત અનેક અન્ય પાચન સમસ્યાઓમાં મદદરૂપ છે. પરંતુ અનેકવાર એવું બનતું હોય છે કે જાંબુ ખાવામાં કેટલાક બાબતો આપણે અવગણીએ છીએ જેના કારણે બીમાર પડવાનો વારો આવે છે. જાંબુ ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે ખાસ જાણો. જેથી કરીને તેના ફક્ત સ્વાસ્થ્ય ફાયદા જ આપણને મળે.
જાંબુ ખાતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન…
1. ખાલી પેટ જાંબુનું સેવન ન કરવું
ખાલી પેટે જાંબુ ખાવાથી નુકસાન પહોંચી શકે છે અને તે અનેક સમસ્યાઓ ઊભી કરી શકે છે. જાંબુનો સ્વાદ ખાટ્ટો મીઠો હોય છે. આથી જાંબુ ખાલી પેટે ખાવાથી એસિડિટી, પેટનો દુખાવો, પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. જાંબુ ભોજન કર્યા બાદ જ ખાવા જોઈએ.
2. જાંબુ અને હળદર સાથે ન ખાવા
જાંબુ ખાધા બાદ તરત હળદરવાળા બદાર્થનું સેવન કરવાથી તમને પેટમાં બળતરા થઈ શકે છે. જો તમે જાંબુ ખાધા બાદ હળદરનું સેવન કરવા માંગતા હોવ તો ઓછામાં ઓછું 30 મિનિટ રાહ જુઓ. હળદર અને જાંબુ એકસાથે સેવન કરવાથી શરીરમાં રિએક્શન થઈ શકે છે. જેથી કરીને તમે લાંબા સમય સુધી અસહજ મહેસૂસ કરી શકો છો. આ સાથે જ પેટ સંલગ્ન કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે.
3. દૂધ અને જાંબુ એક સાથે ખાવાથી ગેસ થાય
દૂધ અને જાંબુ પણ એક સાથે ખાવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંલગ્ન સમસ્યાઓ થઈ શકે છે. આ ફળને ખાધા બાદ તરત દૂધ પીવાથી ગેસ, પેટનો દુખાવો જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે. જાંબુ ખાધા બાદ તરત દૂધ અને મિલ્ક પ્રોડક્ટનું સેવન કરવાથી બચો. ઓછામાં ઓછા 30 મિનિટ બાદ દૂધ પીઓ.
4. અથાણું અને જાંબુ એક સાથે ન ખાવા
ઘરમાં બનેલા ખાટા કે ગળ્યા અથાણા કોને ન ભાવતા હોય. પરંતુ અહીં કેટલાક ફૂડ કોમ્બિનેશન સાથે અથાણાનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ બંને ચીજો ભેગી ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. જાંબુ ખાધા બાદ એક કલાક સુધી અથાણાનું સેવન કરવાથી દૂર રહેવું સારું રહેશે.
5. જાંબુ ખાઈને પાણી ન પીવું
જાંબુ ખાધા બાદ તરત પાણી પીવું જોઈએ નહીં કારણ કે તેનાથી પરેશાનીઓને આમંત્રણ આપવા જેવું બને છે. ડાયેરિયા જેવી બીમારી થઈ શકે છે. જાંબુ ખાધા બાદ 30થી 40 મિનિટ બાદ જ પાણીનું સેવન કરવાની સલાહ અપાય છે.
(નોંધ : આ લેખમાં કરાયેલા દાવાની અમે પુષ્ટિ કરતા નથી. જો તમે પેટની સમસ્યાઓથી અવારનવાર હેરાન થતા હોવ તો જાંબુના સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.)