fbpx
Saturday, April 27, 2024

શું તમે ક્યારેય આ રીતે હનુમાનજીને પ્રાર્થના કરી છે? જાણો શીઘ્ર ફળદાયી સુંદરકાંડની મહત્તા

મહાબાલી હનુમાનજીને આ ધરતી પર અજર-અમર દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં પણ, તે ચોક્કસપણે તેના ભક્તોનું આહ્વાન સાંભળે છે. જો કોઈ ભક્ત ભગવાન હનુમાનની સાચા દિલથી પૂજા કરે છે, તો તે ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શ્રીરામના ભક્ત, ભક્ત શિરોમણી હનુમાનજીએ સીતા હરણ બાદ અનેક સંકટનો સામનો કરીને પણ શ્રીરામની સેવા કરી હતી.

તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીરામ અને માતા સીતાજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા હતા કે જે પણ વ્યક્તિ સંકટના સમયમાં પવનસુતને બોલાવશે અથવા તેમની શરણમાં જશે તેના તમામ સંકટ દૂર થઈ જશે.

એક માન્યતા એવી પણ છે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. આ સિવાય જો તમે મંગળવારે સુંદરકાંડનો પાઠ કરો છો અથવા તો તેનું વાંચન કરો છો તો આપના જીવનના બધા દુ:ખ દૂર થઈ જાય છે. જો તમારા જીવનમાં પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એક વખત આ રીતે હનુમાનજીને બોલાવીને જુઓ, તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા નહીં રહે.

સુંદરકાંડ અને હનુમાનજી

સુંદરકાંડમાં હનુમાનજીના લંકા પ્રસ્થાન, લંકાદહનથી લઈને લંકાથી પરત આવવા સુધીની વિશેષ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સંપૂર્ણ રામાયણ કથા શ્રીરામનાં ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે. પરંતુ સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જેમાં ફક્ત હનુમાનજીની શક્તિ અને વિજયની ગૌરવગાથા છે.

હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના

માન્યતા છે કે મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મંગળદોષથી પીડિત વ્યક્તિઓએ મંગળવાર અને શનિવારનું વ્રત કરવાની સાથોસાથ સુંદરકાંડના પાઠ કરવા જોઈએ તથા વિશેષ કરીને હનુમાન ચાલીસાનાં પાઠનું વાંચન કરવું જોઈએ. શ્રી હનુમાનજીની કૃપાથી મંગળદોષની સાથે જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જવાની માન્યતા છે.

સુંદરકાંડની ચોપાઇનું માહાત્મય

કહેવામાં આવે છે કે સુંદરકાંડની આ ચોપાઈઓનો એક મંત્રની જેમ પ્રયોગ કરવાથી હનુમાનજી ભક્તોનાં બધા જ કષ્ટ પણ દૂર કરી દે છે. હનુમાનજી તેમના ભક્તોની તમામ મનોકામનાની પૂર્તિ કરે છે.

કોર્ટ કેસમાં વિજય પ્રાપ્તિ અર્થે

જો આપ કોઇપણ પ્રકારના કોર્ટ કચેરીના કેસમાં ફસાયેલા હોવ, ઘણાં પ્રયત્નો કરવા છતાં આપને વિજયની પ્રાપ્તિ ન થઇ રહી હોય તો સુંદરકાંડની નીચે જણાવેલ ચોપાઇનો જાપ કરવાથી આપને ચોક્કસપણે વિજયની પ્રાપ્તિ થશે.

પવન તનય બલ પવન સમાના ।

બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના ।।

પીડા નિવારણ અર્થે

જો આપને કોઇપણ પ્રકારની શારિરીક, માનસિક કે આર્થિક સમસ્યા કે પીડા સતાવી રહી હોય, કેટલાય ઉપાયો કરવા છતાં આપને પીડામાંથી મુક્તિ ન મળી રહી હોય તો આપે સુંદરકાંડની નીચે જણાવેલ ચોપાઇનો જાપ કરવો જોઇએ. આ ચોપાઇના જાપથી આપને તુરંત જ પીડામાંથી મુક્તિ મળશે.

હનુમાન અંગદ રન ગાજે હાંક સુનત રજનીચર ભાજે

વિવાહ યોગ અર્થે

જો આપના દીકરા કે દીકરીની ઉંમર લગ્ન કરવા યોગ્ય થઇ ગઇ હોય છતાં તેમના લગ્નના યોગમાં અડચણો આવતી હોય, ત્યારે આપે નીચે જણાવેલ ચોપાઇનો પાઠ કરવો જોઇએ. આ પાઠ કરતા જ આપના બાળકોના લગ્નના યોગ સર્જાવા લાગશે.

માસ દિવસ મહુ નાથુ ન ભાવા ।

તો પુનિ મોહિ જીઅત નહી પાવા ।।

પૂજા વિધિ

⦁ આ ચોપાઈના કોઈ મંત્રની જેમ જ મંગળવાર તથા શનિવારના દિવસે જાપ કરવા જોઇએ.

⦁ જાપ સમયે ખૂબ જ કરુણ સ્વરમાં હનુમાનજીને બોલાવવા.

⦁ આ ચોપાઈનો મંત્રની જેમ જાપ કરવાથી વ્યક્તિના જીવનની તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે.

⦁ જાપ કરતાં સમયે સરસવના તેલનો દીવો પ્રગટાવીને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને લાલ રંગના આસન પર બેસવું. ત્યારબાદ મુંગાની માળાથી ઓછામાં ઓછા ૧૦૮ વખત ચોપાઈના જાપ કરવા જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles