fbpx
Monday, April 29, 2024

લગ્ન જીવનમાં મધુરતા લાવશે એક તસવીર! જાણો ઘરમાં કયું ચિત્ર રાખવું શુભ અને કયું અશુભ?

ઘરને સજાવવા માટે આપણે તેમાં વિવિધ તસવીરો કે ચિત્રો લગાવતા હોઈએ છીએ. પણ, આ તસવીરો માત્ર ઘરને સજાવવાનું જ કામ નથી કરતી. એ તસવીરોની ઊર્જા તે ઘરમાં રહેનારા સભ્યો ઉપર પણ અસર કરે છે. એટલે કે, તે વ્યક્તિના ભાગ્યને બદલવાનું સામર્થ્ય ધરાવે છે. ત્યારે આવો આજે એ જાણીએ કે ઘરમાં કેવી તસવીરો લગાવીને તમે તમારા દાંપત્યજીવનને મધુર બનાવી શકો છો.

સાથે જ એ પણ જાણીએ કે કઈ તસવીરોનું ઘરમાં હોવું બિલ્કુલ અશુભ મનાય છે.

દાંપત્યજીવનની સમસ્યાઓથી મુક્તિ અર્થે

⦁ લગ્નજીવનમાં ખુશીઓ લાવવા માટે બેડરૂમમાં નૃત્ય કરતા મોરની તસવીર કે ચિત્ર લગાવો. કહે છે કે તેનાથી આપના જીવનમાં ખુશીઓનું આગમન થશે.

⦁ પતિ-પત્નીના સંબંધોમાં નીરસતા હોય તો બેડરૂમમાં શંખ, વાંસળી અથવા તો પછી હસતા બાળકોની તસવીર કે ચિત્ર લગાવવું જોઈએ. તેનાથી આપના જીવનની નીરસતા દૂર થાય છે.

⦁ સંતાન સુખથી વંચિત દંપતિએ તેમના બેડરૂમમાં લડ્ડુ ગોપાલની તસવીર કે ચિત્ર લગાવવું જોઇએ.

⦁ પતિ-પત્ની વચ્ચે હંમેશા મતભેદ અને ખટરાગ રહેતો હોય તો બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર કે ચિત્ર લગાવવું જોઈએ. તેમજ પૂર્વ દિશામાં જળ ભરેલો કળશ રાખવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી લગ્નજીવનમાં મધુરતા આવશે.

બાળકોના અભ્યાસમાં એકાગ્રતા અર્થે

⦁ જો બાળક અભ્યાસમાં એકાગ્રતા ન લાવી શકતું હોય તો બાળકની અભ્યાસ માટે બેસવાની જગ્યા પર, તેની સામે રહે તે રીતે દેવી સરસ્વતીની તસવીર લગાવવી. આ તસવીરમાં દેવીએ સફેદ વસ્ત્ર ધારણ કરેલા હોવા જોઈએ. તેમજ તેમના હાથમાં વીણા હોય તો તે ઉત્તમ રહેશે.

⦁ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મોર, વીણા, પુસ્તક, કલમ, હંસ કે માછલીનું ચિત્ર લગાવવાથી પણ બાળકનું ચિત્ત અભ્યાસમાં એકાગ્ર બને છે.

કઈ તસવીરો ભૂલથી પણ ન લગાવવી ?

⦁ ઘરમાં લગાવવામાં આવેલી કેટલીક તસવીરો નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. એટલે આવી તસવીરો ભૂલથી પણ તમારા ઘરમાં ન લગાવવી જોઈએ.

⦁ ઘરમાં ક્યારેય તાજમહેલની તસવીર કે ચિત્ર ન રાખવું જોઈએ. કારણ કે, વાસ્તવમાં તે એક સમાધિસ્થાન છે. કહે છે કે આવી તસવીરનું ઘરમાં હોવું એ લગ્નજીવનમાં તિરાડનું કારણ બની શકે છે !

⦁ ઘરમાં તાંડવ કરતા શિવ કે નટરાજની મૂર્તિ પણ ન રાખવી જોઇએ. કારણ કે, તે વિનાશ અને ક્રોધનું પ્રતિક છે.

⦁ હિંસક પશુઓની તસવીર કે ચિત્રો પણ ઘરમાં ન રાખવા જોઇએ. તેનાથી આત્મવિશ્વાસ અને સંયમમાં ઘટાડો થાય છે. તેમજ પરિવારમાં કલેશની સ્થિતિ સર્જાય છે. ઘરના સુખ-શાંતિનો નાશ થઈ જાય છે.

⦁ ઘરમાં મહાભારતની તસવીર કે ચિત્ર પણ ન લગાવવા જોઈએ.

⦁ ટાઇટેનિક કે પછી કોઈ ડૂબતા જહાજની તસવીર કે ચિત્ર પણ ઘરમાં ન રાખવું જોઇએ. આવા ચિત્રો દુર્ભાગ્યના સૂચક છે. જે વ્યક્તિના મનોબળને ઘટાડી દે છે તેમજ મતભેદો વધારે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles