fbpx
Saturday, April 27, 2024

આજે છે વટ સાવિત્રી વ્રત, જાણો વિવાહિત સ્ત્રીએ પૂજામાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ?

સમગ્ર વર્ષ દરમિયાન અનેક વ્રત, તહેવાર આવતા હોય છે. જેમાં વટ સાવિત્રી વ્રતનો સવિશેષ મહિમા છે. સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. આજથી અમાસ પક્ષના વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે આ વ્રતમાં કઈ વિધિથી પૂજા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થશે !

વટ સાવિત્રી વ્રત ક્યારે કરવું ?

ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ સુદ પૂર્ણિમાના અવસરે વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ જ રીતે વ્રતની પરંપરા છે. આ વ્રત આજે એટલે કે 3 જૂન, 2023, શનિવારના રોજ રાખવામાં આવી રહ્યું છે. અલબત્, ઉત્તર ભારતની પરંપરામાં આ વ્રત પૂર્ણિમાના 15 દિવસ પહેલાં અમાસ પક્ષમાં કરવામાં આવે છે. જે આ વખતે 19 મે, 2023, શુક્રવારના રોજ કરવામાં આવી હતી.

સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે.

વટ સાવિત્રી વ્રતનો મહિમા

⦁ વટ સાવિત્રી વ્રત અત્યંત ફળદાયી મનાય છે. આ વ્રત સતી સાવિત્રી અને યમરાજની કૃપાને પ્રાપ્ત કરાવનારું છે. દેવી સાવિત્રીએ પતિવ્રતા ધર્મ અને બુદ્ધિચાતુર્યથી તેમના મૃત પતિ સત્યવાનને પુનઃ જીવન પ્રાપ્ત કરાવ્યું હતું.

⦁ કહે છે કે જે સ્ત્રી આસ્થા સાથે આ વ્રત કરે છે, તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

⦁ આ વ્રતના પ્રતાપથી પતિને દીર્ઘ આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે. સાથે જ ઘરમાં સુખ, સમૃદ્ધિનું પણ આગમન થાય છે.

⦁ આ વ્રત કરવાથી દાંપત્ય જીવનના વિઘ્નો પણ દૂર થઈ જાય છે.

વ્રતની ફળદાયી વિધિ

⦁ જે સ્ત્રીઓના નવા જ લગ્ન થયા છે, એટલે કે, લગ્ન બાદ જેમનું પહેલું વટ સાવિત્રી વ્રત છે, તેમણે વ્રતના દિવસે વહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થવું. આ દિવસે આવી સ્ત્રીઓએ ખાસ લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને સાથે જ નવવધુની જેમ જ 16 શ્રૃંગાર કરવા જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આ માટે સર્વ પ્રથમ વડના મૂળમાં જળ અર્પણ કરો. ત્યારબાદ તેને ધૂપ-દીપ અર્પણ કરો. પછી કંકુ, સિંદૂર, પાન, સોપારી, અક્ષત, ફળ, ફૂલ વગેરે તેને અર્પણ કરો.

⦁ આ દિવસે વડના વૃક્ષની 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ, જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોવ તો ઓછામાં ઓછી 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેને સુતરની દોરી વિંટવી જોઈએ.

⦁ વડના વૃક્ષ નીચે જ વટ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને અનાજ, કપડા અને ધનનું દાન કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles