વિવિધ મંદિરોમાં વર્ષ દરમિયાન અનેકવિધ ઉત્સવોનું આયોજન થતું જ હોય છે. પણ, વૃંદાવનનું બાંકે બિહારી ધામ એટલે તો એવું મંદિર કે જ્યાં દરેક દિવસ એક ઉત્સવ બનીને આવે છે. કારણ કે નિત્ય અત્તરથી માલિશ કરાવનારા આ પ્રભુ સ્વયં જ ઉત્સવપ્રિય છે.બાંકે બિહારી મંદિરની વિશેષતા જ એ છે કે અહીં તો દરેક દિવસ એક ઉત્સવ જેવો ભાસે છે. ત્યારે વિચાર કરો કે વિશેષ પર્વ પર મંદિરની આભા કેવી રહેતી હશે ? બાંકે બિહારીજી તો ઉત્સવપ્રિય છે. અને અને આ ઉત્સવપ્રિય પ્રેમેશ્વરને સૌથી પ્રિય મનાતો ઉત્સવ એટલે અહીંનો રંગોત્સવ !
બાંકે બિહારીની હોળી
કહે છે કે વ્રજધામ જેવી હોળી તો ક્યાંયની નહીં ! અને એ જ હોળીનો ખરો રંગ તો જામે છે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં. તમને કદાચ નવાઈ લાગશે પણ, બાંકે બિહારી મંદિરમાં તો વસંત પંચમીથી જ રંગોત્સવનો પ્રારંભ થઈ જાય છે ! વિવિધ રંગના ગુલાલથી મંદિર અને ભક્તો રંગાઈ જાય છે. તો ધૂળેટીના દિવસે પ્રભુ તેમની ચાંદીની પિચકારીથી ભક્તો પર કેસરના જળ નાંખે છે ! કહે છે કે આ ઉત્સવની આભા ભક્તને એવી દિવ્ય ચેતનાની અનુભૂતિ કરાવે છે કે જાણે તેઓ પ્રત્યક્ષ રૂપે જ રાધા-કૃષ્ણ સંગ રંગોત્સવનો આનંદ લઈ રહ્યા હોય.
રાધા-કૃષ્ણની એકરૂપ પ્રતિમા
બાંકે બિહારજી એ વાસ્તવમાં બાળ સ્વરૂપ મનાય છે ! અને બાળ સ્વરૂપની જેમ જ તેમની સેવા થાય છે. માન્યતા અનુસાર આ મૂર્તિમાં રાધા-કૃષ્ણ એકરૂપ થયા છે. એટલે જ તેમને બંન્નેનો શણગાર થાય છે. પ્રભુને નીચે સાડી ધારણ કરાવવામાં આવે છે. જ્યારે ઉપરના ભાગે શ્રીકૃષ્ણની જેમ શણગાર થાય છે. ત્યારે ધૂળેટીના પર્વમાં તો દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવે છે.
રંગોત્સવમાં અહીં આવનારા શ્રદ્ધાળુઓને એવી અનુભૂતિ થાય છે કે જાણે તેઓ ખરેખર રાધા-કૃષ્ણની સામે જ ઉભા છે. અને પ્રભુ રંગ ગુલાલ ઉડાવીને તેમને આશિષ પ્રદાન કરી રહ્યા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)