હિન્દુ સંસ્કૃતિમાં તુલસીપૂજાનું એક આગવું જ મહત્વ છે. હિન્દુ પરિવારોમાં ઘરમાં બીજો કોઈ છોડ હોય કે ન હોય, પરંતુ, તુલસીનું એક નાનકડું કુંડુ તો અચૂક જોવા મળે જ. હિન્દુધર્મના કેટલાક ગ્રંથો જેવા કે પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદપુરાણ, ભવિષ્યપુરાણ તેમજ ગરુડ પુરાણમાં પણ તુલસીના છોડની મહત્તા દર્શાવવામાં આવી છે. માન્યતા અનુસાર તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા અધૂરી માનવામાં આવે છે. તો, તુલસીદળ હનુમાનજીને પણ ખૂબ પ્રિય છે ! પરંતુ, ધાર્મિક મહત્તા ધરાવતા આ તુલસીના છોડનું વૈજ્ઞાનિક મહત્વ પણ ખૂબ જ છે. તો, ઘરના વાસ્તુ સાથે પણ તેનો ગાઢ નાતો રહેલો છે. આવો, આજે તે જ સંદર્ભમાં વિગતે જાણીએ.
ધાર્મિક મહત્વ
⦁ જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવો છો અને તેની સારી રીતે માવજત કરો છો તો પુરાણાનુસાર તમારાથી પૂર્વ જન્મમાં થયેલ દરેક પ્રકારના પાપકર્મનો નાશ થઈ જાય છે.
⦁ મૃત્યુ દરમ્યાન ગંગાજળમાં તુલસીનું પાન લેવાનું પણ પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે. માન્યતા અનુસાર તેનાથી આત્માને સ્વર્ગ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.
⦁ તુલસીના પાન અને ગંગાજળને ક્યારેય વાસી ગણવામાં નથી આવતા.
⦁ તુલસીની પૂજા જે ઘરમાં દરરોજ થાય છે તેનાથી તો યમદૂત પણ દૂર રહેતા હોવાની માન્યતા છે.
⦁ તુલસીની પૂજા જે ઘરમાં દરરોજ થાય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિનો કાયમી વાસ રહે છે.
વૈજ્ઞાનિક મહત્વ
⦁ શરીરમાં ઊર્જાનો પ્રવાહ તુલસીના સેવનથી નિયંત્રણમાં રહે છે.
⦁ વ્યક્તિ દીર્ઘ આયુષ્યવાન બને છે.
⦁ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીબાયોટિક આ પ્રકારના તમામ ગુણ તુલસીમાં રહેલા છે. જે શરીરમાં થતા કોઇપણ પ્રકારના રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
⦁ ઘરમાં તુલસીનો છોડ હોવાથી વાતાવરણ શુદ્ધ રહે છે અને ઘરમાં કોઇપણ પ્રકારની બીમારી પ્રવેશ નથી કરતી.
તુલસી અને વાસ્તુ શાસ્ત્ર
⦁ એવી માન્યતા છે કે તુલસીનો છોડ જે ઘરમાં હોય ત્યાં કોઇપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો તે દૂર થાય છે.
⦁ જો તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ દિશામાં હોય તો તે શુભતાની નિશાની છે.
⦁ ક્યારેય પણ દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન રાખવો. કારણ કે તેનાથી કેટલાક દોષ ઉત્પન્ન થાય છે.
⦁ ક્યારેય પણ તુલસીના પાનને દાંત વડે ચાવવા ન જોઇએ. તેને આખા જ ગળી જવા જોઇએ. તેની પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે તેના પાન ચાવવાથી દાંત ખરાબ થાય છે કારણ કે તુલસીના પાનમાં પારો હોય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)