fbpx
Wednesday, May 8, 2024

110 વર્ષ શુભ સંયોગ સાથે નવરાત્રી! નૌકા પર સવાર દેવી લાવશે સમૃદ્ધિ!

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. શક્તિની પૂજાનું મહાપર્વ નવરાત્રી ચૈત્ર સુદ એકમથી શરૂ થવા જઇ રહી છે. જે 22 માર્ચ, બુધવારે છે. આ દિવસથી નવ સંવત્સરનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રીમાં 110 વર્ષ બાદ એક ખાસ યોગ સર્જાયો છે. જે સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારો મનાઈ રહ્યો છે.

ત્યારે આવો જાણીએ કે કયો છે આ શુભ સંયોગ ? અને નવરાત્રીમાં કેવી રીતે કળશ સ્થાપનાથી માની વિશેષ કૃપાની થશે પ્રાપ્તિ ?

નૌકા પર આવશે દેવી !

ચૈત્ર માસની એકમ તિથિનો પ્રારંભ 21 માર્ચે રાત્રે 11:04 કલાકે થશે. એટલે કે, સૂર્યોદયની તિથિ 22 માર્ચ, બુધવારે પ્રાપ્ત થશે. આ વર્ષે માતાજીનું આગમન નૌકા પર થઈ રહ્યું છે. જેને સુખ-સમૃદ્ધિ લાવનાર મનાય છે. તો સાથે જ માતાજીનું પ્રસ્થાન ડોલીમાં થવાનું છે. જે બહુ જ શુભકારી જણાવાઈ રહ્યું છે.

શુભ સંયોગ સાથે ચૈત્રી નવરાત્રી !

આ નવરાત્રી પર ગ્રહોની સ્થિતિ ખૂબ જ ખાસ છે. જે 110 વર્ષ બાદ બની રહી છે ! નવરાત્રી દરમિયાન ગુરુ અને શનિ તેમની સ્વરાશિમાં રહેશે. શનિ કુંભમાં અને ગુરુ મીનમાં રહેશે. સાથે જ 4 મહત્વના ગ્રહ ગોચર પણ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રી પૂરાં 9 દિવસની છે. એટલે કે નોરતાના દિવસોમાં વધારો કે ઘટાડો નથી. નવ દિવસની પૂર્ણ નવરાત્રી અત્યંત ફળદાયી મનાય છે. પ્રસિદ્ધ જ્યોતિષીઓના જણાવ્યાનુસાર આ વર્ષે નવરાત્રીમાં રાજા બુધ અને મંત્રી શુક્ર ગ્રહ રહેશે. જેના કારણે શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાંતિના અવસરો પ્રાપ્ત થશે અને મહિલાઓ માટે પણ આ ખૂબ શુભ માનવામાં આવી રહ્યું છે.

ચૈત્ર નવરાત્રીની પૂજન વિધિ

⦁ ચૈત્રી નવરાત્રીએ બ્રહ્મમુહૂર્તમાં ઊઠી જવું. સૂર્યોદય પૂર્વે જ સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.

⦁ ઘરના ઇશાન ખૂણામાં એક બાજોઠ મૂકો. તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરીને માતાજીની પ્રતિમા કે છબીનું સ્થાપન કરો.

⦁ લાલ રંગના વસ્ત્ર પર ચોખાથી અષ્ટદળનું નિર્માણ કરો.

⦁ એક માટીના પાત્રમાં જવ ઉગાડી આ અષ્ટદળ પર મૂકો. તેના પર જળ ભરેલ કળશ સ્થાપિત કરો.

⦁ કળશ પર સ્વસ્તિક બનાવી તેના પર પાંચ ચાંદલા કરો. અને ત્યારબાદ નાડાછડી બાંધો.

⦁ કળશમાં આખી સોપારી, સિક્કા અને અક્ષત ઉમેરીને તેના પર આસોપાલવના પાંચ પાન મૂકો.

⦁ એક શ્રીફળ લઇને તેની પર લાલ રંગની ચુંદડી મૂકી તેને નાડાછડીથી બાંધી દો.

⦁ ચુંદડી બાંધેલ શ્રીફળને કળશ પર રાખીને દેવી દુર્ગાનું આહ્વાન કરો.

⦁ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને કળશની પૂજા કરો.

⦁ નવરાત્રીમાં દેવીની પૂજા માટે સુવર્ણના, ચાંદીના, તાંબાના, પિત્તળના કે માટીના કળશની સ્થાપના કરવામાં આવે છે.

⦁ આસ્થા સાથે નવ દિવસ આ કળશની પૂજા કરવાથી અને દેવી ઉપાસના કરવાથી સાધકના સઘળા મનોરથ સિદ્ધ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles