fbpx
Sunday, May 19, 2024

બુદ્ધ પૂર્ણિમાના આ ઉપાય ખોલશે ભાગ્યના બંધ દરવાજા! આ કામ તમારી રાશિ પ્રમાણે કરો

હિન્દુ ધર્મમાં વૈશાખ માસની પૂર્ણિમાનું આગવું જ મહત્વ છે. આ દિવસને ભગવાન બુદ્ધના અવતરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ જ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન બુદ્ધનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું. એ જ કારણ છે કે આ દિવસ બુદ્ધ પૂર્ણિમા તરીકે ખ્યાત છે. અલબત્, ભગવાન બુદ્ધ જેમના અવતાર છે, એવાં શ્રીહરિના પૂજન અર્ચનનો પણ આ દિવસે સવિશેષ મહિમા છે.

કહે છે કે આ દિવસે આસ્થા સાથે શ્રીવિષ્ણુની પૂજા કરવાથી અને કેટલાંક સરળ ઉપાયો અજમાવવાથી વ્યક્તિના ભાગ્યોદય આડેના બંધ દ્વાર પણ ખૂલી જાય છે. એટલું જ નહીં, આ દિવસ કેટલીક રાશિઓ માટે સવિશેષ લાભદાયી સાબિત થવાનો છે. જે તેમને માલામાલ થવાની તક પ્રાપ્ત કરાવશે ! આ વખતે બુદ્ધ પૂર્ણિમા 5 મે, 2023, શુક્રવારે ઉજવવામાં આવશે. ત્યારે આવો, એ જાણીએ કે વિવિધ રાશિના જાતકોને કયા ઉપાયોથી સવિશેષ લાભની પ્રાપ્તિ થશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ બુદ્ધ પૂર્ણિમા ખૂબ જ શુભ રહેવાની છે. આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્‍મીની પણ પૂજા કરો છો, તો તે આપના માટે વિશેષ રૂપે ફળદાયી સાબિત થશે. આ દિવસે આપે વિષ્ણુ ભગવાનને હળદરનું તિલક લગાવવું જોઈએ અને માતા લક્ષ્‍મીને સિંદૂર અર્પણ કરવું જોઈએ. આ ઉપાય આપને લાભ અપાવશે અને તેનાથી આપના વ્યાપારમાં વૃદ્ધિ થવાની સાથે નોકરીમાં પણ પ્રમોશનના યોગ સર્જાશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાનની પ્રતિમાની સમક્ષ દીવો પ્રજવલિત કરવો જોઈએ. તેમજ ઘરના મુખ્યદ્વાર પર ઘીનો દીવો રાખવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના જીવનમાં સદૈવ સમૃદ્ધિ જળવાયેલી રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્‍મીને ખીરનો ભોગ અર્પણ કરવો. ત્યારબાદ સમસ્ત પરિવારજનોએ તે પ્રસાદ ગ્રહણ કરવો. આ પ્રસાદ આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ દિવસે જો આપ કોઇ પવિત્ર અને મોટી નદીમાં સ્નાન કરો છો, તો તે પણ આપના માટે શુભદાયી બની રહેશે.

કર્ક રાશિ

જો આપના જીવનમાં આર્થિક સંકટ આવી રહ્યું હોય તો આપે વિષ્ણુ ભગવાનને બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદનનું તિલક લગાવવું. તેમજ કેસર મિશ્રિત દૂધથી લડ્ડુ ગોપાલને સ્નાન કરાવવું. આ ઉપાયથી તમારા આર્થિક સંકટ ટળી જશે અને આપના જીવનમાં સમૃદ્ધિના દરેક દ્વાર ખુલી જશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો જો બુદ્ધ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળે છે તો તેમના માટે તે સમૃદ્ધિના દ્વાર ખોલે છે. આપે આ દિવસે ચરણામૃતનો પ્રસાદ તૈયાર કરીને ભોગ અર્પણ કરવો જોઇએ. કથા સાંભળ્યા બાદ દરેક લોકોને આ પ્રસાદનું વિતરણ કરી દેવું. તેનાથી આપના ઘરની આર્થિક સ્થિતિ સારી બની જશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ પૂર્ણિમાની તિથિના દિવસે ઘરમાં હવન કરવો જોઈએ. જો તમે આ દિવસે આંબાના વૃક્ષની લાકડીઓથી હવન કરો છો અને ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો છો તો આપના જીવનમાં સદૈવ ખુશહાલી અકબંધ રહે છે. આ દિવસે આપે હવન સાથે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્‍મીનું પૂજન પણ જરૂરથી કરવું જોઈએ.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્‍મીજીનું પૂજન કરી તેમને લાલ રંગના પુષ્પ અર્પણ કરવા અને પછી તેમની આરતી કરવી. માન્યતા અનુસાર આ ઉપાયથી તુલા રાશિના જાતકોના જીવનમાં સમૃદ્ધિનો વાસ થાય છે. આ દિવસે આપે માતા લક્ષ્‍મીને મખાનાની ખીરનો ભોગ અર્પણ કરવો જોઈએ.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકોએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્‍મીની મૂર્તિની સમક્ષ લાલ પુષ્પ અર્પણ કરવા અને વિષ્ણુજીની આરતી કરવી. આ ઉપાય દ્વારા આપના ઘરમાં સદાય સમૃદ્ધિનો વાસ રહે છે અને આપને ભગવાન વિષ્ણુના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. આપે આ દિવસે ઘર મંદિરમાં ઘીનો દીવો જરૂરથી પ્રજવલિત કરવો જોઈએ.

ધન રાશિ

ધન રાશિના જાતકોએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના ભાતનો ભોગ અર્પણ કરવો જોઈએ. સાથે જ તેમના પૂજનમાં પીળા રંગના પુષ્પનો ઉપયોગ કરવો જોઈએ. આપના જીવનમાં જો કોઇ સમસ્યા હશે તો આ ઉપાયથી આપને તેનું નિવારણ મળી જશે. આ દિવસે વિષ્ણુ મંત્રનો જાપ કરવો પણ ફળદાયી બની રહેશે. તેનાથી આપના જીવનની સમસ્યાઓ દૂર થશે અને ખુશહાલી જળવાઈ રહેશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવું અને ઘરની સમૃદ્ધિની કામના કરવી. આ ઉપાયથી આપના ઘરમાં સદાય ખુશહાલી જળવાયેલી રહે છે અને ક્યારેય કોઇ સમસ્યાનો સામનો નથી કરવો પડતો. તેની સાથે આપે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ઘરની તિજોરીની પૂજા પણ જરૂરથી કરવી જોઈએ.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગરીબોને ભોજન કરાવવું અને તેમને જરૂરિયાતનો સામાન દાનમાં આપવો જોઈએ. તેનાથી આપના જીવનમાં ખુશહાલી આવશે. આ દિવસે બ્રહ્મ ભોજન કરાવવું ફળદાયી માનવામાં આવે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે મંદિરમાં દર્શન કરવા અવશ્ય જવું જોઇએ. તેનાથી આપના સમસ્ત પાપોનો નાશ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles