fbpx
Saturday, May 4, 2024

વટ સાવિત્રી પર માત્ર વડની જ નહીં, પીપળાની પણ આ રીતે કરો પૂજા, પતિ પરના સંકટ આવે તે પહેલાં જ દૂર થઈ જશે!

ગુજરાતમાં જેઠ સુદ પૂર્ણિમા પર વટ સાવિત્રી વ્રત કરવાની પરંપરા છે. જે અનુસાર આ વખતે 3 જૂન, 2023, શનિવારના રોજ વટ સાવિત્રી વ્રત રાખવામાં આવશે. પરિણીત સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખતી હોય છે. પણ, શું આપ જાણો છો કે આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને લગ્ન જીવન સંબંધિત તમામ સમસ્યાઓથી મુક્તિ પણ મેળવી શકાય છે !

આવો, તે વિશે વિગતે જાણીએ.

વટવૃક્ષથી મેળવો કૃપા !

વટ સાવિત્રી વ્રતમાં વટવૃક્ષ એટલે કે વડના ઝાડની પૂજા કરવાનો મહિમા છે. તો, કેટલાંક જ્યોતિષીઓના જણાવ્યાનુસાર આ દિવસે વડના વૃક્ષ સંબંધિત કેટલાંક ઉપાય અજમાવીને તમે તમારા લગ્ન જીવનમાં ચાલતી તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. એટલું જ નહીં, આ દિવસે પીપળાના વૃક્ષનો એક વિશેષ ઉપાય અજમાવીને તમે પતિના જીવનના તમામ સંકટોનું શમન પણ કરી શકો છો. આવા જ કેટલાંક ઉપાયો નીચે અનુસાર છે.

લગ્ન જીવનને નહીં લાગે નજર !

વટ સાવિત્રી વ્રતના અવસરે વડના વૃક્ષની પાસે ખાડો ખોદીને તેમાં સૂકાયેલ કાજળ ઉમેરી દો. ત્યારબાદ આ ખાડાને બંધ કરી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના સુખી દાંપત્યજીવનને ક્યારેય કોઈની નજર નથી લાગતી !

લગ્ન જીવનના કલેશને દૂર કરવા

જો લગ્ન જીવનમાં લડાઇ, ઝઘડા અને ખૂબ જ તણાવ હોય તો તેને દૂર કરવા વડના વૃક્ષની નીચે દીવો પ્રજવલિત કરીને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જોઈએ. અને પછી ઘીનું દાન કરવું જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધો પુનઃ મધુર બને છે.

પ્રેમ અકબંધ રાખવા

વટ સાવિત્રી વ્રતના દિવસે વડના વૃક્ષ પર કાચા સુતરના દોરાને બાંધવાનો મહિમા છે. ત્યારે આ દિવસે તે બાંધેલા સુતરમાંથી જ થોડો દોરો લાવી પોતાના બેડરૂમના બેડ પર બાંધી દો. કહે છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અકબંધ રહે છે.

સંતાન પ્રાપ્તિ અર્થે

વટ સાવિત્રી વ્રતના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ અને વૃક્ષની માટીથી તિલક કરવું જોઈએ. તેમણે પતિને પણ તેનું તિલક લગાવવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી સંતાન પ્રાપ્તિ આડેના અવરોધોથી મુક્તિ મળે છે. અને પરિવારમાં નવા મહેમાનના આગમન સંબંધિત શુભ સમાચાર મળે છે.

અતૂટ બંધન માટે

વટ સાવિત્રી વ્રતના દિવસે મંગળસૂત્ર પર લાલ રંગના ચંદનનું તિલક પતિના હાથથી કરાવવું જોઈએ. તેનાથી દાંપત્ય જીવનની ખુશીઓ અકબંધ રહે છે. તેમજ લગ્ન સંબંધ પણ અતૂટ રહે છે.

લગ્નજીવન પરથી ટળશે ગ્રહોનો દુષ્પ્રભાવ

વટ સાવિત્રી વ્રતના દિવસે કાળા રંગની ગાયને 8 બુંદીના લાડુ ખવડાવો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી લગ્ન જીવન પરથી મંગળ અને રાહુના દુષ્પ્રભાવ ટળી જાય છે. એટલું જ નહીં, મંગળદોષ પણ ઝડપથી પૂર્ણ થઈ જાય છે.

પતિ પર સંકટ આવતા પહેલાં જ ટળી જશે

વટ સાવિત્રી વ્રતમાં વડના વૃક્ષની પૂજાનો મહિમા છે. પણ, આ દિવસે પીપળાના વૃક્ષનો એક ઉપાય પણ લાભદાયી સાબિત થઈ શકે છે. આ દિવસે આપે પીપળાના વૃક્ષમાં દૂધ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ દક્ષિણ દિશામાં સરસવ અથવા કાળા તલના તેલનો દીવો પ્રજવલિત કરવો. કહે છે કે પતિ પર આવનારા સંકટો આ ઉપાય કરવાથી આવતા પહેલાં જ ટળી જાય છે. અને યમરાજથી પણ પતિની રક્ષા થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles