આપણી જિંદગીમાં રંગોનું ઘણું મહત્ત્વ છે. તે સદસ્યો વચ્ચે તાલમેલ અને સામંજસ્ય જાળવી રાખવામાં બહુ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. રંગો સુખ-શાંતિ આપે છે. વિવિધ રંગોના ગુણ અને તેની સાથે જોડાયેલા વાસ્તુને જાણીએ.
લાલ રંગ
લાલ લોહીનો રંગ છે. લાલ રંગને આપણા જીવન અને શરીર સાથે ગાઢ સંબંધ છે. લાલ રંગ ઉત્સાહ, ઊર્જા અને અગ્નિનો પ્રતીક છે. દક્ષિણ દિશામાં રાખવામાં આવતા કોઈ પણ સામાન કે ફર્નિચરના આગળના ભાગમાં લાલ રંગ કરી શકાય. તેનાથી ઊર્જાનો સંચાર થાય છે. લાલ રંગના જ એક શેડ ગુલાબી રંગનો ઉપયોગ બેડરૂમમાં કરી શકાય, કારણ કે ગુલાબી રંગ પ્રેમનો પ્રતીક છે.
નારંગી
આ રંગ અભિમાન, મહત્ત્વાકાંક્ષા અને સંચારનો પ્રતીક છે. તે સ્વાસ્થ્ય અને જીવનશક્તિને પણ દર્શાવે છે. યુવાન અને અભિલાષી લોકો જેમને જીવનમાં કંઈક મેળવવાની અભિલાષા છે, તેમણે પોતાના બેડરૂમની દક્ષિણની દીવાલ નારંગી રંગથી રંગાવવી જોઈએ. સાથે રસોડા અને પૂજાસ્થાનમાં પણ આ રંગનો ઉપયોગ કરી શકાય.
પીળો
આ રંગ પ્રકાશ, જ્ઞાન અને માનસિક ક્રિયાઓને દર્શાવે છે. પીળો રંગ ધનનાં દેવી લક્ષ્મીજીને પણ પસંદ છે. આ સિવાય પીળો રંગ અભ્યાસ, એકાગ્રતા અને મગજને સ્થિર કરવામાં પણ મદદગાર છે. ઉત્તર દિશાની દીવાલો પર પીળો રંગ સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે. પીળો રંગ સમૃદ્ધિનો પણ પ્રતીક છે, તેથી પર્સમાં પીળા રંગનો પથ્થર રાખવાથી પણ ફાયદો થાય છે.
લીલો
લીલો રંગ પ્રકૃતિ, સૌભાગ્ય, સકારાત્મક ઊર્જાની વૃદ્ધિનો પ્રતીક છે. લીલો રંગ એ ઉપચારનો રંગ છે અને તે હાર્ટની સાથે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાઓને પણ ઓછી કરે છે. જે દંપતીના જીવનમાં અનબન ચાલી રહી હોય તેમણે પોતાના બેડરૂમના દક્ષિણ કે પૂર્વ દિશાની દીવાલોએ લીલો રંગ કરવો જોઈએ.
નીલો
આ રંગ આકાશ અને જળનો રંગ છે. આ સિવાય તે હિંમત, પ્રેરણા, ભક્તિ અને સત્યને દર્શાવે છે. નીલો રંગ શરીરમાં થતા કોઈ પણ જાણ્યા-અજાણ્યા દર્દને ઓછું કરવામાં મદદગાર છે. નીલા રંગનો ઉપયોગ બાળકોના બેડરૂમમાં કરી શકાય. નીલો રંગ રસોડું, રેસ્ટોરાં, ઓફિસ અથવા દુકાનમાં ભૂલથી પણ ન કરવો જોઈએ. પશ્ચિમ દિશામાં નીલા રંગનો ઉપયોગ સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે.