ભારતીય પરંપરાના ચાર પાયા ગીતા, ગંગા, ગાયત્રી મંત્ર અને ગાય છે. ગૌમૂત્ર કે છાણને પણ ગાયના દહીં, દૂધ અને ઘીની સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે. ધાર્મિક દૃષ્ટિએ આ પાંચ વસ્તુઓ પંચગવ્ય તરીકે પ્રસિદ્ધ છે. આપત્તિના સમયમાં પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરેલું.
ગાયના કાનમાંથી પસાર થઇ શિવનો જન્મ થયો. એટલે શિવને ગોકર્ણ કહેવાયા એવી કથા વાયુપુરાણ અને શિવપુરાણમાં છે.
ધરતી પર રહેલ કોઈપણ ભુખ્યા-તરસ્યા પ્રાણીને ભોજન અને પાણી આપવું ખુબ જ પુણ્યનું કામ છે. જોકે ગાયને ભોજન કરાવવાથી પુણ્યની સાથોસાથ અન્ય ઘણાં લાભ મળે છે. હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માતાનો દરજ્જો આપવામાં આવેલ છે. માન્યતાઓ અનુસાર જો તમે ગાયને ભોજન અથવા પાણી આપો છો તો તમે ૩૩ કોટિ દેવી દેવતાઓને પણ ભોજન કરાવી રહ્યા છો. પ્રાચીન કાળથી દેવપૂજા કે યજ્ઞોમાં ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે. પાપી જીવને મૃત્યુ પછી નડતી ‘વૈતરણી નદી’ પાર કરવા ગાયના પૂંછડાંની જરૂર પડે છે. ગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. તે નિર્બળને બળ આપે છે. નિસ્તેજને સુંદર બનાવે છે. જ્યાં ગાયનો વાસ છે ત્યાં અઘટિત ઘટનાઓ બનતી નથી. તો આવો, આજે એ જાણીએ કે ગાયની સેવા-પૂજા કેવી રીતે કરવી જોઈએ અને ગાય સાથે કઇ લૌકિક માન્યતાઓ જોડાયેલી છે.
લૌકિક માન્યતા
લૌકિક માન્યતા અનુસાર ગાયને રોટલી ખવડાવવાથી ઘર-પરિવારના ઘણાં બધા દુઃખ દર્દ સમાપ્ત થઈ જાય છે. તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે જ અમે તમને એ જણાવવા માંગીએ છીએ કે જેના વિશે ઘણાં ઓછાં લોકો જાણે છે. કહે છે કે ગાયની સેવા-પૂજા કરવાથી બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીની કૃપા ૭ પેઢી સુધી વરસતી રહે છે.
પ્રથમ રોટલી ગાયને અર્પણ કરો !
ભોજન બનાવતા પહેલી રોટલી હંમેશા જ ગાયને ખવડાવવી જોઈએ. ગાયની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે જો તમે રોટલીમાં ઘી અને ગોળ ઉમેરીને ગાયને ખવડાવો છો તો સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે ગાયને દરરોજ રોટલી ખવડાવનાર વ્યક્તિની આવનારી પેઢીઓને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બેસેલી ગાયને રોટલી ખવડાવવાથી વધારે પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવાથી ચોક્કસ કાર્ય પૂર્ણ થાય છે. એટલું જ નહીં આપના અટવાયેલા કાર્યો પણ પૂર્ણ થાય છે. ગાયને રોટલી અર્પણ કરતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે, ગાયને ક્યારેય પણ સૂકાયેલી અને વાસી રોટલી ખવડાવવી જોઈએ નહીં. ઘરના દરવાજે આવનાર ગાયને ક્યારેય પણ ભૂખ્યા પેટે જવા દેવી જોઈએ નહીં. દરવાજા પર આવનાર ભૂખી ગાયને રોટલી ખવડાવવાથી આપણી દરેક પ્રકારની પરેશાની દૂર થાય છે. જો તમારા ઘરમાં હંમેશા અશાંતિ રહેતી હોય, લડાઈ-ઝઘડા થતા રહેતા હોય તો સવારના સમયે બનાવવામાં આવતી પહેલી રોટલી ગાયને ખવડાવો. આ રીતે ગાયની સેવા કરવાથી તમારા ઘરમાં સુખ-શાંતિનો વાસ રહેશે.
ગૌમૂત્ર કરાવશે અક્ષય પુણ્યની પ્રાપ્તિ
શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જે ઘરમાં કાળી ગાયનો વાસ હોય છે તે ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. જો તમે કાળી ગાયને ઘાસ નીરો છો તો તમારા પાપ નષ્ટ થઈ જાય છે. જે પ્રકારે મનુષ્ય તીર્થ સ્નાન કરીને દાન પુણ્ય પ્રાપ્ત કરી શકે છે, એવી જ રીતે કાળી ગાયને ઘાસ ખવડાવીને પુણ્ય પ્રાપ્ત કરી શકે છે.
દેવી-દેવતાઓના આશીર્વાદ
બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને કાળી ગાયની ભક્તિપૂર્વક પરિક્રમા કરવી. ત્યારબાદ ગાયને પંચગવ્યથી સ્નાન કરાવો. ગાયની વિધિ વિધાનથી પૂજા કરો. આ કાર્ય કરવાથી આપને બધા તીર્થોમાં સ્નાન કર્યાનું પૂણ્ય ઘરે બેઠાં પ્રાપ્ત થશે સાથે 33 કરોડ દેવી-દેવતાઓના આશીર્વાદની પ્રાપ્તિ પણ થાય છે. દૂધ, દહીં, ઘી, ગૌમુત્ર અને ગોબરને મિક્સ કરી જે દ્રવ્ય તૈયાર થાય તેને પંચગવ્ય કહેવામાં આવે છે.
માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્તિ અર્થે
ગાય માતાને તરબુચ અતિપ્રિય હોય છે. ગાયને તરબુચ ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર ગાયને તરબુચ ખવડાવવાથી માતા લક્ષ્મીની કૃપા ૭ પેઢીઓ સુધી વરસતી રહે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)