Defamation Case : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે માનહાનિના કેસમાં બોરીવલી સેશન્સ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. શુક્રવારે બોલિવુડ ક્વીન કંગના રનૌતે સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં અભિનેત્રીના માનહાનિના કેસને ટ્રાન્સફર કરવાની અરજી ફગાવી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ગીતકાર જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
જાવેદ અખ્તરે દાખલ કરેલા માનહાનિ કેસમાં ફસાઈ કંગના
ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી કેસ ટ્રાન્સફર કરવાની કંગના રનૌતની અરજીને ફગાવી દીધી હતી. અહેવાલ મુજબ, એડવોકેટ રિઝવાન સિદ્દીકી મારફત બોરીવલી સેશન્સ કોર્ટમાં દાખલ કરાયેલી કંગના રનૌતની સમીક્ષા અરજીમાં જણાવ્યુ છે કે, મેજિસ્ટ્રેટે જાણી જોઈને અરજદારને નુકસાન પહોંચાડવા તેની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
અભિનેત્રીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી
અગાઉ, કંગના રનૌતે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની ટ્રાન્સફર પિટિશનમાં કહ્યું હતું કે, તેણે અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે કારણ કે જો તે તેમની સમક્ષ હાજર થવામાં નિષ્ફળ જાય તો કોર્ટ અભિનેત્રીને આડકતરી રીતે વોરંટની ધમકી આપવામાં આવી હતી.
જાણો શું છે સમગ્ર મામલો ?
કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચેનો આ મામલો ગયા વર્ષે નવેમ્બરથી ચાલી રહ્યો છે. ગયા વર્ષે જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ દાખલ કરેલી માનહાનિની અરજીમાં કહ્યું હતું કે, અભિનેત્રીએ નેશનલ ટીવી પર તેની વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું અને તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જાવેદ અખ્તરે અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નવી અરજી કરી હતી. આ અરજીમાં તેણે માગ કરી છે કે, કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવે, કારણ કે અભિનેત્રી જાણીને કેસમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલ મુજબ, જાવેદ અખ્તરે પોતાની અરજીમાં કહ્યું છે કે, અભિનેત્રીના વર્તનથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે આ કોર્ટ દ્વારા પ્રક્રિયા જારી કરવામાં આવી ત્યારથી, તે આ મામલામાં વધુ પડતા વિલંબ માટે દરેક સંભવિત વ્યૂહરચના અપનાવી રહી છે. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કંગના રનૌત આ કેસમાં ખોટા નિવેદનો આપી રહી છે.