25મી ઓક્ટોબરે દેશ અને દુનિયામાં આંશિક સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ભારતના કેટલાક શહેરોમાંથી જોઈ શકાશે. આ દુર્લભ ખગોળીય ઘટનાની સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રકારનું ગ્રહણ આગામી દાયકા સુધી ભારતમાંથી જોવા નહીં મળે. દેશની રાજધાનીની સાથે આ ગ્રહણ જયપુર, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, નાગપુર અને દ્વારકાથી પણ જોવા મળશે. ગ્રહણ દરમિયાન ભારતના લોકો ધૂંધળા સૂર્યના માત્ર 43 ટકા જ દર્શન કરી શકશે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ ગ્રહણને નરી આંખે જોવું નુકસાનકારક છે.
ક્યા શહેરમાં ક્યા સમયે ગ્રહણ દેખાશે?
શહેર | ગ્રહણની શરૂઆત |
જયપુર | 4:31 PM |
કોલકાતા | 4:52 PM |
દિલ્હી | 4:29 PM |
ચેન્નઈ | 5:14 PM |
મુંબઈ | 4:49 PM |
હૈદરાબાદ | 4:59 PM |
નાગપુર | 4:49 PM |
દ્વારકા | 4:36 PM |
સિલીગુડી | 4:41 PM |
તિરૂવનંતપુરમ્ | 5:29 PM |
2022નું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ આજે જોવા મળશે. આ સૂર્યગ્રહણ ભારતની સાથે-સાથે યુરોપ, નોર્થ-ઈસ્ટ આફ્રિકા, મિડલ ઇસ્ટ અને વેસ્ટ ઈન્ડિયાના કેટલાક ભાગોમાં પણ જોવા મળવાનું છે. ભારતના મોટાભાગના વિસ્તારમાં સૂર્યગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રહણને કારણે સૂતક પણ લાગશે. આજે સાંજે 4 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે અને સાંજે 6.25 વાગ્યે સૂર્યગ્રહણ પૂર્ણ થવાનું છે.
ક્યારે લાગશે સૂતક
સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે એટલે ભારતમાં 25 ઓક્ટોબરે સવારે 4 વાગ્યે સૂતક લાગશે અને જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે સૂતક પણ પૂર્ણ થઈ જશે. સૂતક દરમિયાન તમામ ધાર્મિક માન્યતાઓનું પાલન કરવામાં આવશે. જેથી મંદિરો બંધ રહેશે અને ગ્રહણ પૂર્ણ થયા પછી મંદિરનું શુદ્ધિકરણ કરી મંદિરોમાં દર્શન કરી શકાશે.
સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ રચાશે
ઉલ્લેખનીય છે કે આ સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ રચાશે. 24 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી અને 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા થશે. આમ દિવાળી અને ગોવર્ધન પૂજા વચ્ચે સૂર્યગ્રહણ થશે. આ દરમિયાન 1300 વર્ષ બાદ 4 ગ્રહોનો દુર્લભ યોગ રચાશે. જેમાં બુધ, ગુરુ, શુક્ર, શનિ પોત-પોતાની રાશિમાં હશે. આ દુર્લભ યોગને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અતિ મહત્વનો માનવામાં આવે છે.
આંશિક સૂર્યગ્રહણ શું છે?
સૂર્ય તેની ભ્રમણકક્ષામાં ફરતો રહે છે, પરંતુ જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે આપણે સૂર્યને જોઈ શકતા નથી, તેને ‘સૂર્યગ્રહણ’ કહેવામાં આવે છે. આંશિક સૂર્યગ્રહણનો અર્થ એ છે કે, જ્યારે ચંદ્ર સૂર્યના કેટલાક કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે, ત્યારે તેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ભારતમાં આગામી સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ, 2027ના રોજ દેખાશે, જે સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે.
ગ્રહણ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો
- સૂર્યગ્રહણ દરમિયાન વ્યક્તિએ રાખેલો ખોરાક ન ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ગ્રહણની અસરથી સૂર્યના કિરણો દૂષિત થઈ જાય છે, જેના કારણે તમારા દ્વારા રાખવામાં આવેલો ખોરાક પણ ઝેરી બની જાય છે.
- ગ્રહણ પછી, વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ, તેમજ ઘર સાફ કરવું જોઈએ. જો તમારા ઘરમાં કોઈ પૂજા સ્થળ અથવા મંદિર છે, તો તેને પણ ચોક્કસપણે સાફ કરો. તેનાથી ઘરની નકારાત્મકતા અને દોષ દૂર થાય છે.
- સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કેટલીક ખાસ તકેદારી રાખવી જોઈએ. ગ્રહણ દરમિયાન તેઓએ ઘરની અંદર રહેવું જોઈએ. ઉપરાંત, ગ્રહણ દરમિયાન સૂવાનો પ્રયાસ ન કરો, પરંતુ ધ્યાન કરો અને જપ કરો.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)